26 ડિસેમ્બર 2021થી 12 જાન્યુઆરી 2022 સુધીમાં 56536 હજાર નવા કોરોના દર્દી હતા
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું
ફરી ભયાવહ રૂપ જોવા મળી રહ્યું છે. 26 ડિસેમ્બરથી ગુજરાતમાં
પુનઃ કોરોનાના કેસ વધવાની શરૂઆત થતાં જ ત્રીજી લહેર શરૂ થઇ ગઇ છે અને ધીરે ધીરે
પીક પણ પકડી રહી છે, જેને કારણે માત્ર 23 દિવસમાં મહામારીએ રાજ્યમાં નવા 1 લાખ લોકોને પોતાની
ઝપેટમાં લઇ લીધા છે. ત્રીજી લહેરનું સંક્રમણ ફેલાવાની સ્પીડ જુઓ તો 26 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધીમાં 50 હજાર નવા કોરોના દર્દી
હતા, જે માત્ર 5 દિવસમાં જ વધીને એક લાખ 9 હજાર 811 થઇ ગયા છે. છેલ્લા 6 દિવસમાં રાજ્યમાં 63216 કેસ નોંધાયા છે, એટલે કે છેલ્લા 6 દિવસમાં દર કલાકે
રાજ્યમાં સરેરાશ 439 કેસ સામે આવ્યા છે.
નવા વર્ષમાં દર કલાકે 263 કોરોનાની ઝપેટમાં
26 ડિસેમ્બર 2021ના રોજ 177 કેસ નોંધાયા બાદ 2022માં નવા વર્ષની શરૂઆતથી જ કોરોનાના કેસોમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. 26 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના 6 દિવસમાં 2550 કોરોના પોઝિટિવ કેસ
નોંધાયા હતા, પરંતુ 2022ની શરૂઆતના 17 દિવસમાં 1,07,261 કેસ નોંધાયા છે, એટલે કે નવા વર્ષના 17 દિવસમાં દર કલાકે 263 કેસ નોંધાયા છે. નવી લહેરમાં 51 દર્દીનાં નિધન થયાં છે.
બીજી લહેરના 52 દિવસમાં દર કલાકે 81 કેસ નોંધાયા
બીજી લહેરમાં 22
ફેબ્રુઆરી 2021એ 315 કેસ નોંધાયા હતા અને 28 ફેબ્રુઆરી સુધીમાં 2785 નાગરિકો કોરોનાની ઝપેટમાં આવી
ગયા હતા, માર્ચ 2021માં કોરોનાની બીજી લહેરમાં
સ્પીડ જોવા મળતા આ મહિનામાં 37809 કેસ નોંધાયા હતા, જ્યારે એપ્રિલમાં તો માત્ર 14 દિવસમાં જ 59918 કેસ સામે આવી ગયા હતા. 22 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ 2021 સુધીમાં બીજી લહેરના 52 દિવસમાં કોરોનાના એક લાખ સામે
આવ્યા હતા. આમ, આ 52
દિવસમાં દર કલાકે 81
કેસ નોંધાયા હતા. આ 52
દિવસમાં 590 કોરોના દર્દીનાં મૃત્યુ થયાં હતાં.
પહેલી લહેરના 169 દિવસમાં દર કલાકે 24 કેસ આવ્યા હતા
19 માર્ચ 2020ના રોજ સુરત અને રાજકોટમાં
કોરોનાના કેસો નાંધાયા બાદ ધીરે ધીરે કોરોનાના કેસોમાં વધારો થયો હતો. 19 માર્ચથી 31 માર્ચ સુધીમાં 74 કેસ નોંધાયા હતા, જે એપ્રિલ મહિનામાં વધીને 4321 થઇ ગયા હતા. મે મહિનામાં આ
આંકડો 12399 પહોંચ્યો હતો. જ્યારે જૂનમાં 15849 અને જુલાઇમાં 28795 કોરોના કેસ નોંધાયા હતા. ઓગસ્ટ
મહિનામાં આ આંકડો વધીને 34997 થઇ ગયો હતો તેમજ સપ્ટેમ્બરના ત્રણ દિવસમાં કુલ 3950
કેસની સાથે 169
દિવસમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 લાખ અને 375 થઇ ગયો હતો, એટલે કે પહેલી લહેરના 169 દિવસમાં દર કલાકે 24 કેસ સામે આવ્યા હતા. આ સમયગાળા
દરમિયાન ગુજરાતમાં 3062 દર્દીનાં મોત થયાં હતાં.