ચૂંટણીના વર્ષમાં સંગઠન સાથે છેડછાડ ન કરવાની રણનીતિ
દિલ્હીમાં ભાજપની
કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાના
કાર્યકાળ વધારવા પર મહોર લાગી ચૂકી છે. જેપી નડ્ડાનો એક વર્ષનો કાર્યકાળ વધારવામાં
આવ્યો છે. 20 જાન્યુઆરીના રોજ નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના
રાષ્ટ્રીય અધ્યક્ષપદ પર રહેશે. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી
નડ્ડાને અધ્યક્ષપદે યથાવત્ રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી પદાધિકારીઓને સંબોધન આપશે. મોદીના ભાષણને માર્ગદર્શક નિવેદન કહેવામાં આવ્યું
છે. આ પછી આ બે દિવસીય બેઠક સમાપ્ત થશે.
ગૃહમંત્રી અમિત શાહે
નડ્ડાનો કાર્યકાળ વધારવાની જાહેરાત કરી હતી. શાહે કહ્યું- પાર્ટીએ નડ્ડા જીના
નેતૃત્વમાં 120 ચૂંટણી લડી હતી, જેમાંથી 73 જીતી હતી. હું નડ્ડાજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમના નેતૃત્વમાં પાર્ટીએ
તેની પહોંચ અને ખ્યાતિ વધારી. 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
નેતૃત્વમાં અને નડ્ડા જીના સંગઠનાત્મક નેતૃત્વ હેઠળ લડશે.
નડ્ડા સતત બીજી વખત
અધ્યક્ષ બનનારા ત્રીજા નેતા બન્યા
નડ્ડાને ફરીથી અધ્યક્ષની જવાબદારી મળતા જ, તો તેઓ લાલકૃષ્ણ અડવાણી
અને અમિત શાહ પછી સતત બીજી ટર્મ મેળવનારા ત્રીજા નેતા બન્યા છે. જોકે રાજનાથ સિંહ
બે વખત પાર્ટી-અધ્યક્ષ પણ બન્યા હતા, પરંતુ તેમનો કાર્યકાળ
સતત ન હતો. નીચે આપેલા ગ્રાફિકમાં ભાજપની રચનાથી અત્યારસુધીના અધ્યક્ષોની વિગતો
આપવામાં આવી છે...
નડ્ડાનું એક્સટેન્શન
સંભવ હતું
આ બેઠક એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે બેઠક શરૂ થયાના
એક સપ્તાહ બાદ જ પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો. જોકે
લોકસભાની ચૂંટણીમાં માત્ર એક વર્ષ બાકી છે, તેથી નડ્ડાને 2024 સુધી એક્સટેન્શન
આપવામાં આવે એવી પ્રબળ સંભાવના પહેલાથી હતી અને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું.
આગામી લોકસભા ચૂંટણી
સુધી પાર્ટી-અધ્યક્ષ રહેશે નડ્ડા
લોકસભાની ચૂંટણીમાં માત્ર એકાદ વર્ષ બાકી છે, જેથી નડ્ડાનો કાર્યકાળ
વધારવામાં આવ્યો છે. ત્યાર પછી પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી સંભવ છે. જોકે પહેલા
દિવસની બેઠક પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે દાવો કર્યો હતો કે બેઠકમાં
પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ વધારવાને લઈને કોઈ ચર્ચા થઈ નહોતી.
ચૂંટણીના વર્ષમાં સંગઠન
સાથે છેડછાડ ન કરવાની રણનીતિ
પાર્ટી-અધ્યક્ષનો કાર્યકાળ લંબાવવાનું એક મહત્ત્વનું કારણ આ વર્ષના અંતમાં
યોજાનારી 9 રાજ્યની વિધાનસભાની ચૂંટણી છે. એ જ સમયે જમ્મુ અને કાશ્મીરમાં મે અને જૂન
વચ્ચે ચૂંટણી યોજાવાની સંભાવના છે. જો કોઈ કારણસર જેપી નડ્ડાના નામ પર સર્વસંમતિ ન
બની હોત, તો ભૂપેન્દ્ર યાદવનું નામ રેસમાં સૌથી આગળ હતું.