• Home
  • News
  • શોપિયામાં TRF ના 3 આતંકીનો ખાતમો, આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી મળી
post

જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબા(LeT)- ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના 3 આતંકીઓને ઠાર કર્યા.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-12 10:02:26

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબા(LeT)- ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના 3 આતંકીઓને ઠાર કર્યા. સુરક્ષાદળોને સોમવારે સાંજે આતંકીઓ એક ઘરમાં છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ જવાનોએ સર્ચ અભિયાન શરૂ કર્યું. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં 3 આતંકીઓનો ખાતમો કર્યો. 

આપત્તિજનક હથિયાર અને ગોળાબારૂદ મળ્યા
પોલીસે જણાવ્યું કે TRF ના 3 આતંકીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી, હથિયાર અને ગોળાબારૂદ પણ મળી આવ્યા છે અને સર્ચ અભિયાન ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓમાં ગાંદરબલનો મુખ્તાર શાહ પણ સામેલ છે. જેણે કુલગામમાં બિહારના મજૂરની હત્યા કરી હતી. 

સુરક્ષાદળોએ આપી હતી સરન્ડરની તક
શોપિયાના તુલરાન ગામમાં સોમવારે સુરક્ષાદળોએ 3 આતકીઓને ચારેબાજુથી ઘેરી રાખ્યા હતા અને તેમને સરન્ડર કરવા માટે  કહ્યું, પરંતુ આતંકી હથિયાર હેઠા મૂકવા તૈયાર થયા નહીં. ત્યારબાદ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો સુરક્ષાદળોએ જવાબ આપતા એન્કાઉન્ટરમાં તેઓ ઠાર થયા. 

પૂંછમાં આતંકી હુમલામાં 5 જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં આતંકીઓના એક હુમલામાં સેનાના એક JCO સહિત 5 જવાન શહીદ થયા. સુરક્ષાદળોની ટુકડી ગુપ્ત બાતમી મળતા આતંકીઓની શોધમાં ઓપરેશન માટે પીર પંજાલના જંગલોમાં ગઈ હતી. જ્યાં આતંકીઓએ ઘાત લગાવીને તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં 5 જવાન શહીદ થયા. 

શહીદ થયેલા  જવાન
-
નાયબ સુબેદાર જસવિંદર સિંહ
-
નાયક મનદીપ સિંહ
-
સિપાઈ ગજ્જન સિંહ
-
સિપાઈ સરજ સિંહ 
-
સિપાઈ વૈશાખ એચ

અન્ય 2 જગ્યાઓ પર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
ઘાટીના અન્ય બે જગ્યાએ પણ અથડામણ થઈ. બાંદીપોરાના હાજિન વિસ્તારના ગુંડજહાંગીરમાં જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કર એ તૈયબાના આતંકી ઈમ્તિયાઝ અહેમદ ડારને ઠાર કર્યો. જ્યારે અનંતનાગમાં મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં 1 આતંકી ઠાર થયો. અનંતનાગ એન્કાઉન્ટરમાં એક પોલીસકર્મી ઘાયલ પણ થયો હતો જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post