નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભાની માત્ર બે ઈમારત હશે, સેન્ટ્રલ હોલ નહીં હોય
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ વચ્ચે નવી ઈમારતો માટે સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લેવાયો છે. આ વિસ્તારમાં સંસદના બન્ને ગૃહોને વધારે સભ્યોનો સમાવેશ કરે તેવી ક્ષમતાવાળી નવી ઈમારત બનાવવામાં આવશે. સાથે જ કેન્દ્રીય સચિવાલય માટે 10 નવી ઈમારત બનાવાશે. રાષ્ટ્રપતિ ભવન, હાલ સંસદ ભવન. ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રીય અભિલેખાગારની ઈમારતને જેમ છે તે જ સ્થિતિમાં રાખવામાં આવશે. આ પ્લાનમાં ગત મહિને 6 વખત ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, આ ફેરફાર સૂચનો પ્રમાણે કરવામાં આવ્યા છે. હાલ આ માસ્ટર પ્લાન અંતિમ કે ફાઈનલ નથી.
સેન્ટ્રલ વિસ્ટાના માસ્ટર પ્લાન પ્રમાણે જૂના ગોળાકાર સંસદ ભવનની સામે ગાંધીજીની પ્રતિમા પાછળ નવું ત્રિકોણાકાર સંસદ ભવન બનશે. નવા સંસદ ભવનમાં બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભા માટે એક-એક ઈમારત હશે. પણ સેન્ટ્રલ હોલ નહીં બને. આ સંસદ ભવન 13 એકર જમીન પર હાલ પાર્ક, અસ્થાયી નિર્માણ અને પાર્કિંગ છે.
લોકસભામાં અત્યારે 545 સાંસદ, નવા ગૃહને 900 સાંસદો લાયક બનાવાશે
લોકસભાની નવી ઈમારતોમાં ગૃહની અંદર 900 સીટ હશે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં લોકસભામાં બેઠકો વધે તો અગવડ ન પડે. નવા ગૃહમાં બે-બે સાંસદ માટે એક બેઠક હશે, જેની લંબાઈ 120 સેન્ટીમીટર હશે. એટલે કે સાંસદોને 60 સેમીની જગ્યા મળશે. સંયુક્ત સત્ર દરમિયાન આ બે સીટ પર ત્રણ સાંસદ બેસી શકશે. એટલે કે કુલ 1350 સાંસદ બેસી શકશે. રાજ્યસભાની નવી ઈમારતમાં 400 બેઠકો હશે. દેશની વિવિધતા દર્શાવવા માટે સંસદ ભવનની એક પણ બારી કોઈ અન્ય બારી સાથે મળતી નહી આવે. દરેક બારી અલગ આકાર અને અંદાજની હશે.