'લાલ સિંહ ચઢ્ઢા'ના પ્રમોશન દરમિયાન આમિર ખાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે હાલમાં ઘણો જ નર્વસ છે
આમિર ખાનની ફિલ્મ 'લાલ
સિંહ ચઢ્ઢા' એક દિવસ પછી એટલે કે 11 ઓગસ્ટે
રિલીઝ થઈ રહી છે. ફિલ્મ અંગે ખાસ્સો વિવાદ પણ થઈ રહ્યો છે. આ દરમિયાન આમિર ખાનનું
ટેન્શન વધી ગયું છે. વિવાદની વચ્ચે ફિલ્મ રિલીઝ થવાને કારણે એક્ટર ઘણો જ નર્વસ છે.
આમિર ખાન ફિલ્મને શક્ય તેટલી પ્રમોટ કરી રહ્યો છે. હાલમાં જ એક્ટરે ફિલ્મ રિલીઝ
પહેલાં તેના કેવા હાલ છે, તે અંગે વાત કરી હતી.
આમિર ખાન સૂતો નથી
'લાલ સિંહ ચઢ્ઢા'ના
પ્રમોશન દરમિયાન આમિર ખાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તે હાલમાં ઘણો
જ નર્વસ છે. તે છેલ્લાં 48 કલાકથી સૂતો નથી. તે મજાક નથી કરતો, પરંતુ
તે સાચે જ સૂતો નથી. તેનું મગજ ચકરાવે ચઢ્યું છે. આથી જ તે પુસ્તકો વાંચે છે, ઓનલાઇન
ચેસ રમે છે. તેને લાગે છે કે હવે તે 11
ઓગસ્ટ બાદ જ શાંતિથી સૂઈ
શકશે.
ફિલ્મ રિલીઝ બાદ શું કરશે?
આમિર ખાનને જ્યારે
પૂછવામાં આવ્યું કે તે 11 ઓગસ્ટ પછી શું કરશે? જવાબમાં તેણે કહ્યું હતું કે 11
ઓગસ્ટ બાદ તે આરામ
કરશે. તેને લાગે છે કે તે તથા ડિરેક્ટર અદ્વૈત ત્યારે જ શાંતિથી સૂઈ શકશે. જ્યારે
તેઓ ઊઠશે ત્યારે ઓડિયન્સ તેમને કહેશે કે ફિલ્મ ગમી કે નહીં?
ટ્રોલિંગ અંગે આમિરે શું કહ્યું?
આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'ને બોયકોટ કરવાની માગણી કરવામાં આવી હતી.
બોયકોટ ટ્રેન્ડ જોયા બાદ આમિરે ચાહકોને ફિલ્મ જોવાની અપીલ કરી હતી. જોકે, પછી પણ ટ્રોલિંગ બંધ થયું નહોતું. હવે આમિરે કહ્યું હતું કે જો કોઈ વાતથી
કોઈનું દિલ દુભાયું હોય તો તેને તે વાતનું દુઃખ છે. તે કોઈનું પણ દિલ દુભવવા માગતો
નથી. જેમને ફિલ્મ જોવી નથી, તે તેમની વાતને માન આપે છે. તે બીજું તો
શું કહી શકે? જોકે,
તે એટલું જરૂર
કહેવા માગશે કે વધુમાં વધુ લોકો આ ફિલ્મ જુએ. તેમણે ઘણી જ મહેનતથી આ ફિલ્મ બનાવી
છે. ફિલ્મમાં માત્ર તે નથી, પરંતુ તમામ લોકોની મહેનત છે. આશા છે કે
દર્શકોને ફિલ્મ ગમશે.
11
ઓગસ્ટે 'રક્ષાબંધન' સાથે ટકરાશે
અક્ષય કુમારની 'રક્ષાબંધન' પણ 11
ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. 180
કરોડના બજેટમાં બનેલી 'લાલ સિંહ ચઢ્ઢા' 5 હજાર સ્ક્રીન તો 70
કરોડમાં બનેલી 'રક્ષાબંધન' 4000 સ્ક્રીન પર રિલીઝ થશે.