• Home
  • News
  • પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ, 6 ડિસેમ્બરે નિકાહ કરીને ધર્મપરિવર્તન કર્યું હતું
post

નાગરવાડાની 23 વર્ષીય હિન્દુ યુવતીએ 2 ડિસેમ્બરે ભાગી જઈને 6 ડિસેમ્બરે મુંબઈના બાન્દ્રામાં વિધર્મી યુવક સાથે નિકાહ કર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 10:33:22

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે. આ પહેલાં ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ છે.આ મામલે કારેલીબાગ પીઆઈ આર.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે અમને સત્તાવાર કોઈ જાણ નથી. પરંતુ અમને માહિતી મળી હતી, એટલે અમે તપાસ કરી હતી, પરંતુ એ લોકો મળી આવ્યા નથી. અમે તપાસ કરી રહ્યાં છીએ.

વિધર્મી યુવકે યુવતીનું ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડીને મુંબઈ લઈ ગયા બાદ 6 ડિસેમ્બરે બાન્દ્રા ખાતે તેનું ધર્મપરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચ્યો હતો. યુવતી અને યુવકને બુધવારે સાંજે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લવાયાં હતાં, જયાં બંનેનું ચાર કલાક સુધી કાઉન્સેલિંગ કરાયું હતું. ઘટનાના પગલે બંને પક્ષનાં ટોળાં અને હિન્દુ સંગઠનના કાર્યકરોનાં ટોળાં કારેલીબાગ પોલીસ સ્ટેશને ઊમટી પડતાં એક તબક્કે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરી દેવી પડી ટોળાંને વિખેરવા પડ્યાં હતાં. લવ-જેહાદના આ કિસ્સા સામે અગ્રણીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે ફરિયાદ થઈ ન હતી. બંનેને પોતપોતાનાં ઘરે મોકલી કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું.

યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે તેણે રાજીખુશીથી લગ્ન કર્યા છે
નાગરવાડા વિસ્તારમાં રહેતી બ્રાહ્મણ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતા વિધર્મી યુવક સાથે ત્રણેક વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને ગાઢ પરિચયમાં આવ્યાં હતાં. બંને 2જી તારીખે ઘેરથી ભાગી જઇ છોટાઉદેપુર ગયાં હતાં. ત્યાં લગ્નનો પ્રયાસ કર્યો હતો, પણ ગુજરાતમાં કાયદાનું બંધન નડતાં સફળ થયાં ન હતાં, જેથી બંને ધર્મપરિવર્તનનો કાયદો અમલમાં નથી તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં ગયાં હતાં. મુંબઇના બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મપરિવર્તન કરાવાયું હતું અને બંનેએ નિકાહ કરી લીધાં હતાં. ત્યાર બાદ યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે તેણે આ વિધર્મી યુવક સાથે રાજીખુશીથી લગ્ન કર્યા છે.

યુવક-યુવતીને પોતપાતાનાં ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું
યુવક અને યુવતી મુંબઇથી વડોદરા આવ્યાં હતાં અને યુવતીએ તેને દબાવવાનો પ્રયત્ન કરાશે તેવી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ દ્વારા બુધવારે સાંજે યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન બોલાવાયાં હતાં. બંનેના પરિવાર પણ પોલીસ સમક્ષ પહોંચ્યા હતા, જયાં યુવક અને યુવતીનું સતત કાઉન્સેલિંગ કરાયું હતું અને ત્યાર બાદ બન્નેને પોતપોતાનાં ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ શરૂ કરાયું હતું. કારેલીબાગ પોલીસ સ્ટેશન પર લોકોનાં ટોળાં ઊમટી પડતાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. લવ-જેહાદની ઘટનાના પગલે હિન્દુ સંગઠનો તથા બંને પક્ષનાં ટોળાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ઊમટી પડ્યાં હતાં, જેથી એક તબક્કે પોલીસે પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાની જાળી બંધ કરી દેતાં જય શ્રી રામના નારા લાગ્યા હતા, જોકે પોલીસે ટોળાંને વિખેર્યાં હતાં.

પિતાના તેરમાની વિધિ પતાવીને દીકરી ફરી વિધર્મી યુવક સાથે ફરાર થઈ ગઈ
નાગરવાડા વિસ્તારમાં યુવતીને ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોતપોતાનાં ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સાંસદ અને ધારાસભ્ય સહિતના નેતાઓ દ્વારા મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવતાં હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા સાથે મેદાનમાં આવી ગયાં છે. આ ઘટના બાદ યુવતીના પથારીવશ પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને દીકરી ફરી વિધર્મી યુવક સાથે ફરાર થઈ ગઈ છે. કારેલીબાગ પોલીસે યુવક અને યુવતીની ફરી શોધખોળ શરૂ કરી છે.

adv

Related News

post
post
post
post
post
post
post