• Home
  • News
  • અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરી:ફેફસાં-શ્વાસનળી વચ્ચે ગાંઠ હોવાથી પાંચ મહિનાના બાળકનું હ્રદય ધબકતું બંધ થયું, 10 દિવસ ઓક્સિજન પર રહ્યો, ડોક્ટરોએ 15 દિવસ સારવાર કરી નવજીવન આપ્યું
post

અત્યંત જોખમ ભરેલી બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-06 16:17:32

મોરબીમાં રહેતા એક પરિવારના પાંચ મહિનાના બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. પરંતુ તેની હાલત સમય જતાં વધુ નાજુક થતાં તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામા આવ્યો, પરંતુ રાજકોટમાં તબિબોને રાજવિર નામના બાળકને હૃદય સંબંધિત તકલીફો અતિગંભીર જણાંતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. જ્યાં બાળકના ફેફસાં અને શ્વાસનળી વચ્ચે ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

આ બાળકને લઈને તેના માતા પિતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા હતાં. સિવિલની મેડિસીટીમાં એકાએક આ શ્વાસ લેવામાં પડતી તકલીફ વધી ગઇ અને હ્યદયના ઘબકારા અપ્રમાણસર બન્યા હતાં. ત્યારે મધ્યાંતરે વિવિધ પ્રકારના તબીબી ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.તબીબી સારવાર ચાલી રહી હતી એવામાં હ્યદયના ધબકારા બંધ પડી ગયા હતાં.અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી યુ.એન.મહેતા હ્યદયરોગ હોસ્પિટલના તબીબોની સારવાર અને શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા કૃત્રિમ રીતે હ્યદય પર દબાણ ઉભુ કરી હ્યદયને પુન:ધબકતુ કરવામાં આવ્યું અને રાજવીરના હ્યદયને પુન:ધબકતુ કરવામાં આવ્યું.

ગાંઠને લીધે રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી.
રાજકોટ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાઇ રહ્યા હતા ત્યારે રાજવીરના હ્યદયના ધબકારા નાજૂક બનતા યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં ઇકોકાર્ડિયોગ્રામ ટ્રિકસપીડ રેગર્ગાઇટેશન અને પલ્મોનરી હાઇપરટેન્શન સાથે નાની એટ્રીઅલ સેપ્ટલ ખામીની જાણ થઇ. સી.ટી. સ્કેન કરાતા જાણવા મળ્યુ કે છાતીના ભાગમાં 6X5X4 સે.મી.ની મહાકાય ગાંઠ જોવા મળી જે રાજવીરના ફેફસા અને મુખ્ય શ્વાસનળી ઉપર દબાણ ઉભુ કરી રહી હતી. જે કારણોસર રાજવીરને શ્વાસ લેવામાં ઘણી તકલીફ અનુભવાઇ રહી હતી.

આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે
રાજવીરની સ્વાસ્થ્ય સ્થિતિ નિયંત્રણમાં આવતા તરત જ તેની બ્રોન્કોજેનિક ગાંઠના સારવારની આકસ્મિક જરૂરિયાત ઉભી થતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો. આ પ્રકારની સર્જરીમાં શ્વાસનળીથી જોડાયેલી પાણીની ગાંઠ જોવા મળે છે જે જન્મજાત જ હોય છે પરંતુ સમય જતા તેના કદમાં વધારો થતો જાય છે.જેની સમયસર સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવનું જોખમ રહેલું હોય છે. આ પ્રકારની સર્જરીને અત્યંત જોખમી માનવામાં આવે છે. બ્રોન્કોજેનિક ગાંઠની સર્જરી વિશેની સમગ્ર ગંભીરતા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા રાજવીરના માતા-પિતાને સમજાવવામાં આવી.
સર્જરી દરિમયાન 6X5X4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી
આ પ્રકારની સર્જરીમાં નિષ્ણાંત તબીબોની હાજરી અનિવાર્ય હોઇ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને મદદનીશ પ્રાધ્યાપક ડો.મહેશ વાઘેલાએ રાજવીરની સર્જરી કરવાનું બીંડુ ઉપાડીને નવજીવન બક્ષવા કટિબધ્ધ થયા. એનેસ્થેસિયા વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો.ભાવના રાવલના સહયોગથી સમગ્ર ટીમે અત્યંત જોખમી એવી બ્રોન્કો જેનિક સિસ્ટની સર્જરી હાથ ધરી. સર્જરી દરિમયાન 6X5X4 સેમીની વિશાળકાય ગાંઠ દૂર કરવામાં આવી.આ ગાંઠ ફેફસા અને શ્વાસનળી વચ્ચે દબાયેલી હતી જે કારણેસર જ રાજવીરને શ્વાસ લેવામાં હાલાકી ભોગવવી પડી રહી હતી.

15 દિવસની સારવાર બાદ રાજવીર ઘરે પરત ફર્યો
રાજવીરની સર્જરી કર્યા બાદ બાળરોગ વિભાગના વડા ડૉ. બેલા શાહ, સહ પ્રાધ્યાપક ડૉ. સૂચેતા મુનશી,મદદનીશ પ્રાધ્યાપક ડૉ. અનુયા ચૌહાણના માર્ગદર્શન હેઠળ 1 દિવસ વેન્ટીલેટર પર અને 10 થી વધુ દિવસ ઓક્સિજન પર રાખીને સર્જરી બાદની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. આ દરમિયાન બાળકને રાયલ્સ ટ્યુબ એટલે કે નળી વાટે દૂધ પીવડાવવામાં આવતુ હતુ. જે 10 દિવસની સારવાર બાદ રાજવીરને માતાનું ધાવણ મળતુ થયુ. 10 થી 15 દિવસની લાંબી સારવાર અને ભારે જહેમત બાદ રાજવીર સંપૂર્ણ પણે સ્વસ્થ થઇને પોતાના ધરે પરત ફર્યો.


શું છે બ્રોન્કોજેનિક સિસ્ટ ?
બાળકનો ગર્ભમાં જ્યારે વિકાસ થઇ રહ્યો હોય છે ત્યારે શ્વાસનળીની રચના દરમિયાન શરીરમાં ઘટકો છૂટા પડતા હોય છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જૂજ કિસ્સામાં ઘટકો શ્વાસનળીની બહાર પડી જતા ગાંઠ ની રચની થવા લાગે છે જે સમય જતા વિશાળકાય સ્વરૂપ ઘારણ કરે છે. આ તકકલીફની સમયસર સર્જરી કરવી અતિઆવશ્યક બની રહે છે. અમૂક કિસ્માં આ ગાંઠમાં જો પાણી ભરાઇ જાય અથવા ઇન્ફેક્સન લાગે ત્યારે અન્ય અંગોમાં તે દબાણ ઉતપન્ન કરે છે. જે કારણોસર દર્દી અત્યંત કપરી પરિસ્થિતિમાં મૂકાઇ જાય છે.જીવ ગુમાવવાનું પણ જોખમ રહેલું હોય છે. આ પ્રકારના કિસ્સા 50 થી 60 હજારે એક બાળકમાં જોવા મળે છે.

adv

Related News

post
post
post
post
post
post
post