ઓક્સિજન સપ્લાઇ વધારવા AMAએ CMને પત્ર લખ્યો
કોરોનાની સારવાર આપતી
ખાનગી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ દર્દીને ઓક્સિજનની જરૂર વધી છે, ત્યારે ત્રણ ગણો ભાવ
આપવા છતાં વેપારીઓ ઓક્સિજન આપવા તૈયાર થતા નથી, જેને કારણે દર્દીનો જીવ
જોખમમાં મુકાવાની સાથે ઓક્સિજનને અભાવે દર્દીનું મોત થતાં ડોક્ટરો પર હુુમલાનો ખતરો
વધ્યો છે,
જેને
કારણે ઓક્સિજનની અછતને દૂર કરવા ઇન્ડસ્ટ્રીઝમાં અપાતો ઓક્સિજન સપ્લાઇ બંધ કરવા
અમદાવાદ મેડિકલ એસોસિયેશના પ્રમુખ ડો. કિરીટ ગઢવી અને પૂર્વ પ્રમુખ ડો.મોના દેસાઇએ
મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ઓક્સિજનને અભાવે સારવારમાં
મુશ્કેલી
ડો.
કિરીટ ગઢવી અને ડો.મોના દેસાઇ જણાવે છે કે મોટા ભાગની હોસ્પિટલોમાં ઓક્સિજન અને
વેન્ટિલેટર પરના દર્દી માટે ઓક્સિજનની ભારે અછત હોઈ, એ દૂર કરવા મુખ્યમંત્રીને પત્ર
લખ્યો છે. હાલમાં એચડીયુ, આઇસીયુ
અને વેન્ટિલેટર પર સારવાર લેતા દર્દીમાં ઓક્સિજનની જરૂરિયાત 3થી 4 ગણી વધી છે. વળી, હોસ્પિટલમાં એવા જ દર્દીને દાખલ
કરાય છે, જેમની
ઓક્સિજન સેચ્યુરેશન 94 ટકાથી
ઓછી થઈ હોય, જેને
લીધે દર્દીને 5 લિટરને
બદલે હાલમાં 15 લિટર
જેટલો ઓક્સિજન આપવો પડે છે. ત્યારે ત્રણ ગણા ભાવ ચૂકવવા છતાં ઓક્સિજનના વેપારીઓ
પાસેથી ઓક્સિજન મળતો નથી. ઓક્સિજનને અભાવે દર્દીની યોગ્ય અને પૂરતી સારવાર કરવી
અશક્ય હોવાથી ડોકટરોને હોસ્પિટલ બંધ કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.
હોસ્પિટલની વિરોધ કરવાની ચીમકી
તેમણે
વધુમાં જણાવ્યું હતું કે કમિશનરને ફોન કરતાં તેઓ કહે છે કે અમારી પાસે ટેન્કર
ભરેલું છે, તમે
આવીને ઓક્સિજન લઇ જાઓ, તો
અમે દર્દીની સેવા કરીએ કે ઓક્સિજન લેવા દોડીએ? ગંભીર પરિસ્થિતિને કારણે અમે હડતાળ
પર જઇ શકીએ તેમ નથી, પરંતુ
જો સરકાર જથ્થો પૂરો પાડવા માટે તાત્કાલિક પગલાં નહીં લે તો કાળી પટ્ટી બાંધીને
વિરોધ વ્યક્ત કરીશું.
સિવિલમાં 20 ટનની ઓક્સિજન ટેન્ક
સિવિલ
કેમ્પસની પ્રત્યેક હોસ્પિટલ પાસે પોતાની અલાયદી 20 ટનની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક
હોવાથી ઓક્સિજનની અછત પડવાની શક્યતા નહિવત હોવાનું હોસ્પિટલનું કહેવું છે. સિવિલ
સુપરિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે 1200 બેડ સહિત અન્ય 6 હોસ્પિટલમાં હાલમાં 2 હજારથી વધુ કોરોના દર્દી સારવાર
હેઠળ છે તેમજ હોસ્પિટલમાં દાખલ થતા 80 ટકા દર્દીઓ ઓક્સિજનની જરૂરિયાતવાળા
હોય છે. ત્યારે સિવિલની 1200 બેડ
હોસ્પિટલની 20 ટનની
ટેન્ક દિવસમાં ત્રણવાર ભરવી પડે છે, જેથી ઓક્સિજનની કોઈ અછત નથી.