દેશમાં 200 જેટલી ફ્લાઇટ બંધ થઈ ગઈ, પરંતુ માત્ર 68 શરૂ થયાની પ્રતિકૂળ અસર
નવી દિલ્હી: સસ્તી ફ્લાઇટ
સર્વિસ પૂરી પાડતી ગો-ફર્સ્ટ ઍરલાઇન્સ નાદાર થતાં ડોમેસ્ટિક મુસાફરોને આર્થિક
નુકસાન વેઠવી પડી રહ્યું છે. ગો-ફર્સ્ટે 3 મેથી ઍરલાઇન્સની સેવા
બંધ કરતાં ઍર ઇન્ડિયા, ઇંડિગો અને સ્પાઇસજેટ જેવી ઍરલાઇન્સે દિલ્હીથી અમદાવાદનું ભાડું 400 ટકા જેટલું વધારી દીધું
છે. ગો-ફર્સ્ટ 3000 આસપાસ ભાડું વસૂલતી હતી જ્યારે આ ઍરલાઇન્સ રૂ. 16585 સુધીનું ભાડું વસૂલે
છે. ગો-ફર્સ્ટ 27 ડોમેસ્ટિક અને 7 આંતરરાષ્ટ્રીય માર્ગો પર રોજની 200થી વધુ ફ્લાઇટનું
સંચાલન કરતી હતી. તેની સામે ઍર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ
જેવી ઍરલાઇન્સે માત્ર 68 નવી ફ્લાઇટ શરૂ કરી છે. ફ્લાઇટની સંખ્યા ઓછી હોવાથી માગ વધી રહી છે. આ કારણે
ભાડું પણ વધી રહ્યું છે. ટ્રાવેલ પોર્ટલ ઇક્સિગો પ્રમાણે દિલ્હી-અમદાવાદ રૂટ પરનું
ભાડું 400 ટકાના વધારા સાથે રૂ. 16,585 સુધી પહોંચ્યું છે. દિલ્હી-પૂણે રૂટનું ભાડું પણ 3 ગણું વદીને 15,093 રૂપિયા થયું છે.
ગો-ફર્સ્ટે 30 મે સુધીની ઉડાનો બંધ કરવાની અને મુસાફરોને બુકિંગની રકમ પરત કરવાની જાહેરાત
કરી છે.
સરકાર ચિંતિત પરંતુ
ભાડા પર નિયંત્રણનું કોઈ જ આયોજન નથી
વધતા જતા ભાડા અંગે ઉડ્ડયન મંત્રાલય ચિંતિત છે. એક અધિકારીના મતે, ગો-ફર્સ્ટની ફ્લાઇટ બંધ
થયા પછી મંત્રાલયની કેટલાક રૂટ પર ભાડાવધારા પર નજર છે. ઍરલાઇન્સને અન્ય રૂટ પર
ભાડું ન વધારવા કહેવાયું હતું. આ રૂટ પર હવાઈભાડાની મહત્તમ અને લઘુતમ મર્યાદા
વચ્ચે વધુ અંતર ન હોવું જોઈએ. ભાડું મધ્યમ સ્તર પર હોવું જોઈએ. જોકે કોઈ પણ રૂટ પર
ભાડું નિયંત્રિત કરવાની સરકારની કોઈ યોજના નથી. સરકારે ગો-ફર્સ્ટ પાસે પણ વહેલી
તકે ફ્લાઇટ ચાલુ કરવા અંગે માહિતી માગી છે.
દેશભરમાં પ્રવાસ માટે
મે-જૂન અતિવ્યસ્ત સિઝન
ઍરલાઇન્સ માટે મે અને જૂન મહિના અતિ વ્યસ્ત સિઝન હોય છે. આ બે મહિના દરમિયાન
સ્કૂલ-કૉલેજમાં ઉનાળુ વૅકેશન હોય છે. લોકો રજાઓ ગાળવા બહારગામ જતા હોવાથી અનેક રૂટ
પર ભાડાં વધવાને કારણે મુસાફરોનું બજેટ ખોરવાઈ જતું હોય છે. જે લોકોએ ગો-ફર્સ્ટથી
ઍડ્વાન્સ બુકિંગ કરાવ્યું હોવાથી પ્રવાસ રદ કરાવવા અથવા ટ્રેન કે અન્ય રીતે
મુસાફરી કરવા મજબૂર બન્યા છે.