પ્રયાગરાજ કોર્ટના ચુકાદા પહેલાં અતીક અહેમદને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો
પ્રયાગરાજ: 17 વર્ષ જૂના ઉમેશ પાલ
અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે અતીક અહેમદ સહિત 3ને દોષિત જાહેર કર્યા
છે. કોર્ટે ત્રણેય દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. ભાઈ અશરફ સહિત 7 આરોપીને નિર્દોષ જાહેર
કર્યા હતા. આ કેસમાં 11 લોકો આરોપી હતા, જેમાંથી એકનું મોત થયું હતું.
આજીવન કેદની સજા મળતાં
જ ગેંગસ્ટર અતીકે અદાલતને વિનંતી કરીને કહ્યું હતું કે, મારે અહીંયાં નથી
રહેવું. મને સાબરમતી જેલમાં મોકલી દો. અલબત્ત, કોર્ટે અતીકને સાબરમતી
જેલમાં અને તેના ભાઈ અશરફને બરેલી જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે. આજે
(મંગળવારે) મોડી સાંજે પ્રયાગરાજથી અમદાવાદ આવવા નીકળશે. આવતીકાલ બુધવારે સાંજે
અતીક સાબરમતી જેલમાં આવશે.
ઉમેશ પાલ અપહરણ કેસમાં
પ્રયાગરાજની કોર્ટે 10માંથી 7 આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અતીકનો ભાઈ અશરફ પણ એમાં સામેલ છે.
અતીક ઉપરાંત ખાન સૌલત અને દિનેશ પાસીને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જેમને
નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તે લોકોનાં નામ- અશરફ ઉર્ફે ખાલિદ અઝીમ, ફરહાન જાવેદ ઉર્ફે
બજ્જુ, આબિદ, ઈસરાર, આશિક ઉર્ફે મલ્લી, એઝાઝ અખ્તર છે. જજ દિનેશ ચંદ્ર શુક્લાની કોર્ટમાં સજા પર સુનાવણી પૂર્ણ થઈ
હતી.
ઉમેશ પાલની માતાએ
કહ્યું, તેને ફાંસી આપવી જોઈએ
કોર્ટના ચુકાદા બાદ
ઉમેશ પાલનાં માતા શાંતિદેવીએ જણાવ્યું હતું કે મારો પુત્ર સિંહની જેમ લડ્યો હતો.
અતીકને ફાંસીની સજા થવી જોઈએ. આ તરફ આ મામલે ઉમેશની પત્ની જયા પાલે કહ્યું હતું કે
યોગીજી મારા પિતા સમાન છે. તેઓ અમારા પરિવારનું ધ્યાન રાખશે. ઉમેશ પાલ અપહરણ
કેસમાં પ્રયાગરાજની કોર્ટે 17 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. IPC કલમ 364-A હેઠળ અતીક સહિત 3 આરોપીને દોષિત
ઠેરવવામાં આવ્યા છે. આ તરફ કોર્ટ પરિસરમાં વકીલોએ અતીકને ફાંસી આપો, ફાંસી આપોના નારા
લગાવ્યા હતા. અતીક અહેમદને ગઈકાલે સાંજે પ્રયાગરાજની નૈની જેલમાં લાવ્યા બાદ આજે
સવારે એમ.પી. એમ.એલ.એ કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ અતીક-અશરફને લઈને કોર્ટમાં
પહોંચી હતી. જેલમાંથી પ્રથમ વાન ખાલી રવાના થઈ હતી. બીજી વાનમાં ફરહાન, પછી ત્રીજી વાનમાં અશરફ
અને છેલ્લી વાનમાં અતીકને લઈને નૈની સેન્ટ્રલ જેલમાંથી 50 સુરક્ષાકર્મી સાથે
પોલીસ કોર્ટ જવા રવાના થઈ હતી. યુપી પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
હતો.
અતીક અહેમદને સુપ્રીમ
કોર્ટથી ઝટકો
પ્રયાગરાજ કોર્ટના ચુકાદા પહેલાં અતીક અહેમદને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે.
અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીકના જીવને જોખમ હોવાનું
જણાવાયું હતું. વકીલે કોર્ટ પાસે આ મામલે સુરક્ષા માટેની માગ કરી હતી. આ મામલે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. તે આ કોર્ટનો મામલો
નથી. તમે હાઈકોર્ટમાં જાઓ.