ઉત્તરકાશીમાં સેના- NDRFનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે
દેહરાદૂન: ઉત્તરાખંડના
ઉત્તરકાશીમાં મંગળવારે હિમસ્ખલન થયું હતું. આ ઘટના દ્રૌપદી કા ડાંડા નામના સ્થળે
બની હતી, જ્યાં સામાન્ય રીતે પર્વતારોહણોને તાલીમ આપવામાં આવે છે. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ
ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 28 ટ્રેની ગયા હતા. જેમાંથી 10 લોકોના મોત થયા છે. એરફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે બચાવ
માટે IAFના 2 ચિતા હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. 8 લોકોને રેસ્ક્યૂ
કરવામાં આવ્યા છે. 10 મૃતદેહ મળી આવ્યા છે. તેમજ 11 લોકો ગુમ થયા છે.
રાજ્યના સીએમ પુષ્કર
સિંહ ધામીએ જણાવ્યું કે તેમણે બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે રક્ષા મંત્રી રાજનાથ
સિંહ સાથે વાત કરી છે અને સેનાની મદદ માંગી છે. SDRF સ્ટેટ ડિઝાસ્ટર
મેનેજમેન્ટ ઓથોરિટીના DIG રિદ્ધિમ અગ્રવાલે માહિતી આપી હતી કે SDRFની ટીમ કેમ્પમાં પહોંચી
ગઈ છે.
12 દિવસમાં
3 વખત હિમસ્ખલન થયું
આ પહેલા 1 ઓક્ટોબરે કેદારનાથ મંદિર પાસે હિમસ્ખલન થયું હતું. જ્યારે, 23 સપ્ટેમ્બરના રોજ મંદિરથી લગભગ 5 કિ.મી. પાછળ ચોરાબારી
ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું હતુ. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. રૂદ્રપ્રયાગના
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર એન.એસ રાજવરે કહ્યું હતું કે તે ખૂબ જ નાનો હિમપ્રપાત
હતો. બંને હિમસ્ખલનમાં કોઈ નુકસાન થયું નથી.
આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે
હિમપ્રપાતને કારણે ફસાયેલા તાલીમાર્થીઓને બચાવવા માટે તમામ મદદ પૂરી પાડવામાં આવી
રહી છે. રાજનાથસિંહ આજથી બે દિવસ માટે ઉત્તરાખંડની મુલાકાતે જવાના છે. તેઓ ચમોલી
જિલ્લાના માના અને ઔલીમા જઈને ચીન સરહદ પર સૈનિકો સાથે દશેરાની ઉજવણી કરશે.