બેંગલુરુ કમિશનરે સ્વિગીને કહ્યું- 30 મિનિટમાં ડિલિવરી ના કરો, થોડો સમય વધારો
બેંગલુરુ: બેંગલુરુના પોલીસ કમિશનર ભાસ્કર રાવે મંગળવારે એક ટિ્વટ કરીને સ્વિગી અને પિઝા ડિલિવરી કરતી રેસ્ટોરન્ટ્સને ઝડપી ડિલિવરી નહીં કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, શું આપણે એ ડિલિવરી બોય પાસેથી ફ્રી પિઝા લઈ શકીએ, જે જીવના જોખમે ડિલિવરી કરવા આવ્યો હોય અને 30 મિનિટમાં ડિલિવરી ના કરી શક્યો હોય! હું પિઝા પહોંચાડતી રેસ્ટોરન્ટ્સને ગંભીરતાથી અપીલ કરું છું કે, તમે આ પોલિસી પર ફેરવિચાર કરો. પિઝા કંપનીઓએ ડિલિવરીનો સમય વધારીને 40 મિનિટ કરવો જોઈએ કારણ કે, 30 મિનિટની પોલિસીને પગલે કેટલાક ડિલિવરીબોય ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
મિસ્ટર સ્વિગી,
તમે લોકો સૌથી મોટા ગુનેગાર
છો: કમિશનર
રાવ
બીજી તરફ, આ ટિ્વટનો જવાબ આપતા સ્વિગીએ કહ્યું કે અમે તમારી ચિંતા સમજીએ છીએ. અમે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનું બિલકુલ સમર્થન નથી કરતા. જો કોઈને પણ એવું જોવા મળે તો અમારા નંબર પર સૂચના આપો. આ મુદ્દે ફરી કમિશનર રાવ ભડક્યા હતા. તેમણે કહ્યું કે, મિસ્ટર સ્વિગી, તમે લોકો સૌથી મોટા ગુનેગાર છો. આમ છતાં, તમે એમ કહો છો કે, અમે બધા નિયમોનું પાલન કરીએ છીએ? તમારા જ કર્મચારીઓ ટ્રાફિક પોલીસને હાથ જોડીને કહે છે કે અમે છોડી દો. તેઓ એવું ના કરે તો તમે ડિલિવરીબોય સામે કાર્યવાહી કરો છો. જો હવે પછી સ્વિગીના કોઈ પણ ડિલિવરીબોયનું લોહી વહ્યું, તો તમારે જેલમાં જવું પડશે.
ડિલિવરીબોય મોડું કરે તો રેસ્ટોરન્ટ સંચાલકો તેમને દંડ કરે છે અથવા પગાર કાપી લે છે
જો કોઈ ડિલિવરીબોય સમયસર ફૂડ ડિલિવર ના કરે તો કેટલીક કંપનીઓ તેમને દંડ ફટકારે છે અથવા તો તેમનો પગાર કાપી લે છે. આ કારણસર ડિલિવરીબોય દબાણમાં આવીને 30 મિનિટમાં ફૂડ ડિલિવર કરવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને જીવ જોખમમાં મૂકે છે.