• Home
  • News
  • ‘છાત્રાઓ માટે માસિક ધર્મ હવે અધર્મ નહીં’, સ્વામિનારાયણ મંદિર સંચાલિત ભુજના ઇન્સ્ટિટ્યૂટે પરંપરા બદલવા લેખિતમાં આપ્યું
post

છાત્રાઓનાં કપડાં ઉતારવા મુદ્દે પ્રિન્સિપાલ શિક્ષક સહિત 4ની ધરપકડ, રિમાન્ડ આપ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-18 10:51:40

ભુજઃ વસ્ત્રો ઉતરાવીને માસિક ધર્મની ચકાસણી કરાયાની શરમજનક અને ક્રૂર હરકતથી રાજયકક્ષાએ ખળભળાટ મચી ગયો છે. બનાવને ગંભીરતાથી લઇ ભુજની મુલાકાતે આવેલી રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમ સમક્ષ કોલેજના સંચાલકોએ સંસ્થાના માસિક ધર્મ પાળવાના નીતિ-નિયમોમાં ફેરફાર કરવાની લેખિત ખાતરી સોમવારે આપી હતી. દરમિયાનમાં આ કેસમાં પ્રિન્સિપાલ, કો-ઓર્ડિનેટર અને શિક્ષક, પ્યુન સામે નામ જોગ ફરિયાદ એ-ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાતા સોમવારે ચારેય મહિલાની ધરપકડ કરી બપોર બાદ કોર્ટમાં રજુ કરાઇ હતી. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટીઓએ સોમવારે બેઠક યોજી
કચ્છ યુનિવર્સિટીની તપાસ ટીમની તાત્કાલિક મુલાકાત, પોલીસમાં એફઆઇઆર, સીટની રચના, રાજય મહિલા આયોગની ટીમ બાદ રાષ્ટ્રીય મહિલા આયોગની મુલાકાતને પગલે ભારે દબાણમાં આવી ગયેલા ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટીઓએ સોમવારે બેઠક યોજીને વર્ષોથી ચાલી આવતા રૂઢિગત નિયમો હવે છાત્રાઓ પોતાની રીતે-સ્વૈચ્છિક રીતે પાળી શકશે તેવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. એક તરફ ભારે હોબાળાને પગલે નાલેશી થઇ બીજી બાજુ સરકારી વહીવટદર નીમાવાનો ડર લાગતા ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો હોવાનું મનાઇ રહ્યું છે. સોમવારે કચ્છ યુનિવર્સીટી ખાતે મહિલા આયોગના સભ્ય ડો. રાજુલ દેસાઇને સંચાલકોએ લેખિત ખાતરી આપી વસ્ત્રો ઉતરાવાને પગલે સર્જાયેલા ભડકાને ઠારવાનો આ રીતે પ્રયાસ કર્યો હતો.

નીતિનિયમો પાળવા બળજબરી નહીં કરાય
આ અંગે સંસ્થાના વાઇસ પ્રેસીડેન્ટ અને સર્વેસવા લેખાતા પ્રવીણભાઇ પીંડોરીયાએ કહ્યું હતું કે, મહિલા આયોગની ટીમ કચ્છ યુનિવર્સિટીમાં માટે તપાસમાં આવી હતી ત્યારે બનેલી ઘટના અંગે લેખિતમાં ખાતરી આપી દેવાઇ છે. દિકરીઓને સંસ્થાના નીતિ-નિયમોનું પાલન કરવા બળજબરી નહીં કરાવાય તેમજ સંસ્થા તરફથી કોઇ પણ દબાણ કરવામાં નહીં આવે અને દિકરીઓ પોતાના ધર્મની રૂઢીઓ મુજબ સ્વેચ્છાએ પાલન કરી શકશે.

રસોઈ બનાવતા શીખો નહીં તો નરકમાં જવા તૈયાર રહો
રજસ્વલામાં હોય અને તે સ્ત્રી પોતાના હાથે જો પતિને ખવડાવે તો તે બીજા જન્મમાં શ્વાન બની જાય છે. તો બીજી તરફ જે પતિ ખાય તે બીજા જન્મમાં બળદ બની જાય છે. જેમને જે લાગવું હોય તે લાગે. આ શાસ્ત્રની વાત છે. એક-એક વસ્તુ શાસ્ત્રની મર્યાદિત વાતો છે. રસોઈ બનાવતા શીખી જાવ નહીં તો નરકમાં જવા તૈયાર રહો. - કૃષ્ણસ્વરૂપ સ્વામી

સોશિયલ વિચાર - ઈશ્વરને જન્મ આપનારી સ્ત્રી માસિક ધર્મથી શા માટે અછૂત બને?: રમેશ સવાણી , નિવૃત્ત IPS
11
ફેબ્રુઆરી, 2020ના રોજ ભુજના સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટની છાત્રાઓના વસ્ત્રો ઊતરાવી તે રજસ્વલા/માસિકધર્મ/માસિકસ્ત્રાવ/રજોદર્શન/સ્ત્રીધર્મ/પિરિયડ/Menstrual Cycle-MCમાં છે કે નહી; તેની ચકાસણી મહિલા શિક્ષિકા દ્વારા કરવામાં આવી. ચંદ્રિકા સોલંકીએ ફેસબૂક પોસ્ટમાં અણિયાળો પ્રશ્ન પૂછ્યો છે : સ્ત્રીના માસિકધર્મનો છોછ રાખનાર, એને અછૂત સમજનારા લોકોને કે સંપ્રદાયના વડાઓને એટલીય ખબર પડતી નહીં હોય કે એમના માતા પણ માસિકધર્મમાં બેઠા વિના જ એમનો જન્મ શક્ય બન્યો હશે?’ અનેક મહિલાઓએ અવાજ ઉઠાવ્યો; આવી ચકાસણીને અધમ અને વિકૃત ગણાવી. ખૂબ ઊહાપોહ થયો; પરંતુ થોડા દિવસમાં આપણા ધર્મગ્રંથોના પોપટપાઠ બધું ભૂલવાડી દેશે ! સંતોને/ઈશ્વરને જન્મ આપનાર સ્ત્રી માસિકધર્મ દરમિયાન શા માટે અછૂત બની જાય છે? આનું કારણ આપણા ધર્મગ્રંથો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય પુસ્તક શિક્ષાપત્રી છે.

શિક્ષાપત્રીમાં એ અંગે કોઇ ઉલ્લેખ નથી
શ્લોક-173 માં સહજાનંદજી લખે છે : સુવાસિની અને વિધવા સ્ત્રીઓએ વસ્ત્રો પહેર્યા વિના નાહવું નહી; તેમજ પોતાનું રજસ્વલાપણું કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું આવી સ્ત્રીઓએ ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડવું નહી અને ચોથે દિવસે નાહીને અડવું.શ્લોક-88માં લખ્યું છે : અમારા સત્સંગી એવા ચારેય વર્ણના મનુષ્ય, તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક પાળવું.જ્યાં લોકો સહજાનંદજીને ભગવાન માનતા હોય; સવારસાંજ તેમની પૂજા કરતા હોય; ત્યાં તેમણે લખેલી વાતોનું ચુસ્તપણે અમલ કરવા/કરાવવાનો આગ્રહ ભક્તલોકો રાખવાના જ. જે તે સમયે આવી સૂચનાઓ આપવી સહજાનંદજીને યોગ્ય લાગ્યું હશે; પરંતું હવે સ્વચ્છતા રહી શકે તેવી સગવડતાઓ ઊભી થઈ છે; ત્યારે આવા ધર્મના આદેશો માનવાની જરુર નથી; આટલી સમજણ પ્રગટતી નથી. એમ તો સહજાનંદજી પોતે મોબાઈલ ફોન વાપરતા ન હતા; શિક્ષાપત્રીમાં એ અંગે કોઈ ઉલ્લેખ પણ નથી, છતાં આજે સ્વામિનારાયણ સાધુઓ/સંતો/સત્સંગીઓએ મોબાઈલ ફોન અપનાવી લીધો છે. મતલબ કે સમયાનુસાર ફેરફાર થવો જોઈએ.

148 વર્ષ પહેલા ગુજરાતના સંત જીવણજી મહારાજે ક્રાંતિકારી આદેશ કર્યો
સહજાનંદજીએ 1826 માં શિક્ષાપત્રી લખી. પરંતુ તેના 148 વર્ષ પહેલા 1678માં કબીર પરંપરાના ગુજરાતના સંત જીવણજી મહારાજે ક્રાંતિકારી આદેશ કર્યો હતો : સ્ત્રીઓએ રજસ્વલા પાળવી નહીં.ગુજરાતના લોકોને જ્ઞાની સંતો પચતા નથી ! રજસ્વલા તમામ માદા પ્રાણીઓને આવે છે; આ સહજ કુદરતી પ્રક્રિયા છે. ગાયને પણ રજસ્વલા આવે છે; તે વખતે તેનું પૂછડું આંખોએ/કપાળે અડાડીએ છીએ; રજસ્વલા ગાયનું દૂધ પીએ છીએ; તે વખતે ગાય કેમ અછૂત થઈ જતી નથી? સ્ત્રી જ અછૂત થઈ જાય? આ કેવો સંપ્રદાય? આ કેવો ધર્મ? આ કેવા સંતો? આ કેવા ભગવાન? ચંદ્રિકા સોલંકી પ્રશ્ન પૂછે છે : જો માસિક ધર્મવાળી દિકરી કે સ્ત્રીનું મંદિર કે ધાર્મિક સ્થળોએ પ્રવેશવું એ અધર્મ કે અછૂત ગણાતું હોય તો માસિક ધર્મવાળી દિકરી મંદિરમાં દાખલ થતાં જ ભૂકંપ આવી મંદિરો કેમ પડી જતા નથી? ત્યાં બેઠેલા ભગવાન કેમ ચિત્કારી ઊઠતા નથી?’

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post