ભાજપ સરકારના કાર્યક્રમમાં કોંગ્રેસના બે ધારાસભ્યોની હાજરી, ડે.સીએમ નીતિન પટેલે બંનેના વખાણ કરતા રાજકીય ચર્ચાઓ શરૂ
ગાંધીનગર: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને એક વર્ષ પુરૂ થવા પર શહેરમાં ભાજપ સરકાર દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ, જેમાં ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસના બે ધારાસભ્યોની હાજરીએ ચર્ચા જગાવી છે, ગાંધીનગરના કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા અને કચ્છના અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, એક રીતે તેમને ભાજપના નહીં પરંતુ રાજ્ય સરકારના કાર્યક્રમમાં હાજરી આપી છે, જો કે તેમને અહી જોતા હવે રાજકીય ચર્ચાઓ થઇ રહી છે કે આ બંને કોંગ્રેસના નેતાઓ હવે ભાજપમાં જોડાશે, જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમને ભાજપમાં જોડાવવાની કોઇ વાત જ ન હોવાનું કહ્યું છે, અગાઉ પણ જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, તે કોંગ્રેસી નેતાઓ છેલ્લી ઘડી સુધી કહેતા હતા કે ભાજપમાં જવાની વાતો ખોટી છે અને પછી ભાજપમાં જોડાઇ ગયા હતા.
આજના આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સરકારી કાર્યક્રમમાં હાજર રહેવા માટે સી.જે.ચાવડા અને પ્રદ્યુમનસિંહ જાડેજાના વખાણ કર્યા હતા, સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં કોંગ્રેસના નેતાઓ હાજરી નથી આપતા, પરંતુ આજે અહી અલગ જ રાજનીતિ જોવા મળી, ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ બે નેતાઓ જો ભાજપમાં જાય તો નવાઇ નહીં હોય.