યૂક્રેન એરલાઈન્સનું બોંઈગ 737-800 વિમાન બુધવારે ઈરાનથી ઉડાન ભર્યાની 3 મિનિટ બાદ ક્રેશ થઈ ગયું હતું
ટોરન્ટોઃ તેહરાન એરપોર્ટ પર બુધવારે ઈરાનની જ મિસાઈલથી વિમાન પર હુમલો કરાયો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને બ્રિટિશના વડાપ્રધાન બોરિસ જોનસને આ દાવો કર્યો છે. ટ્રૂડોએ કહ્યું કે, તેમને ગુપ્તચર સૂત્રો પાસેથી આ માહિતી મળી છે, આનાથી ખબર પડી છે કે યૂક્રેન એરલાઈનનું વિમાન તેહરાનથી ટેકઓપ કર્યાના ઠીક પછી કોઈ સર્ફેસ-ટૂ-એર મિસાઈલ સાથે ટકરાયું હતું. રિપોટર્સ સાથેની વાતચીતમાં ટ્રૂડોએ કહ્યું- બની શકે છે કે આ જાણીજોઈને કરાયું છે. પરંતુ કેનેડિયન નાગરિકોના ઘણા સવાલ છે અને તેનો જવાબ આપવો જરૂરી છે. યૂક્રેન એરલાઈનનું જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, તેમાં 176 લોકોના મોત થયા હતા. જેમાં 63 કેનેડિયન નાગરિક સામેલ હતા. આ ઉપરાંત 82 ઈરાની, 11 યૂક્રેન, 10 સ્વીડન અને જર્મની-બ્રિટેનના 3-3 નાગરિક પણ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા.
કેનેડાના આ દાવા પર ઈરાને પુરાવા માંગ્યા છે. ઈરાન સરકારે કહ્યું કે, મિસાઈલ હુમલાની વાત ખોટી છે કારણ કે એ વખતે અન્ય નેશનલ અને ઈન્ટરનેશનલ વિમાન એ જ એરસ્પેસમાં ઉડાન ભરી રહ્યા હતા. ઈરાને કહ્યું કે, કેનેડાએ આ અંગેના પુરાવા ઈરાની તપાસકર્તાઓને આપવી જોઈએ.
બીજી બાજુ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને પણ કહ્યું કે, આ વાતના ઘણા પુરાવા છે કે યૂક્રેન એરલાઈનનું વિમાન ઈરાનની એક સર્ફેસ-ટૂ-એર મિસાઈલના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમણે કહ્યું કે, ‘બની શકે છે આવું ભૂલથી થયું હશે, પરંતુ બ્રિટન સતત તમામ પક્ષોને પશ્વિન એશિયામાં તણાવ દૂર કરવાની અપીલ કરે છે’