મૃતકોમાં પતિ પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે
કેનેડા: કેનેડામાં ભારે
બરફવર્ષાને કારણે લોકોને મુશ્કેલઓનો સામનો કરવો પડ઼્યો છે. આ દરમિયાન કેનેડા-યુએસ
બોર્ડર પર ચાર ભારતીયનાં ઠંડીને કારણે મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. ભારતના
વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેની કેનેડાની સરહદ પર ચાર ભારતીયનાં મોતની
નોંધ લીધી છે. પ્રાથમિક રિપોર્ટમાં એવું કહેવાઈ રહ્યું છે કે આ ઘટનામાં એક જ
પરિવારના ચાર સભ્યનાં ઠંડીને કારણે મોત થયાં છે, જેમાં મૃતકોમાં
પતિ-પત્ની સાથે એક 12 વર્ષની દીકરી અને 3 વર્ષનો દીકરો પણ હોવાનું જાણવા મળ્યું છે. એ ઉપરાંત આ મૃતકો ઉત્તર ગુજરાતનાં
પટેલ પરિવારનાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ભારતીય નાગરિકોનાં
અતિશય ઠંડીને કારણે મોત થયાં
અમેરિકા-કેનેડાની બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર ભારતીય નાગરિકનાં
અતિશય ઠંડીને કારણે મોત થયાં છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જોકે આ ઘટનાને
માનવ તસ્કરી સાથે જોડાયેલો મામલો માનવામાં આવે છે. મૈનટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ
પોલીસ (આરસીએમપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે એમર્સનની નજીક કેનેડા-અમેરિકા બોર્ડર
પર કેનેડા તરફ બુધવારે ચાર શબ મળ્યા હતા, જેમાં બે શબ વયસ્કોના,એક કિશોર અને એક બાળક
છે, જ્યારે શબ બરામદ થયા ત્યારે ત્યાં માઇનસ 35 ડીગ્રી તાપમાન હતું.
ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા
અમેરિકન અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે
કે મૃતક ભારતથી આવ્યા હતા અને કેનેડાથી અમેરિકાની સરહદમાં દાખલ થવાનો પ્રયાસ કરી
રહ્યા હતા. આરસીએમપીના મદદનીશ કમિશનર જેન મૈક્લેચીએ કહ્યું હતું કે આ ખૂબ જ દુ:ખદ
ઘટના છે. પ્રારંભિક તપાસમાં લાગે છે કે તમામનાં મોત ઠંડીમાં ઠૂંઠવાઈ જવાને કારણે
થયાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આરસીએમપીનું માનવું છે કે ચારે મૃતક એ
ગ્રુપનો હિસ્સો હતા જેમણે બોર્ડરની નજીક અમેરિકન ક્ષેત્રથી પકડવામાં આવ્યા છે.
ચારેય મૃતદેહ બોર્ડરથી 9થી 12 મીટરના અંતરે મળ્યા છે.
ચાર કલાકની શોધખોળ બાદ
મૃતદેહો મળ્યા
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના આ ખૂબ જ
પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે તેઓ બધા બરફના તોફાનમાં થીજી જવાને કારણે મૃત્યુ
પામ્યા હતા. મૃતદેહ મળ્યા પહેલાં એ જ દિવસે યુએસ બાજુના બોર્ડર એજન્ટોએ એવા લોકોના
ગ્રુપની અટકાયત કરી હતી જેઓ થોડીવાર પહેલાં જ બોર્ડર ઓળંગી ગયા હતા. એને કારણે
સરહદની બંને બાજુએ શોધખોળ શરૂ થઈ હતી. ચાર કલાકની શોધખોળ બાદ પહેલા મૃતદેહો મળી
આવ્યા હતા.
એક વર્ષથી બોર્ડર પાર
કરવાના પ્રયાસો બંધ છે
તેમણે કહ્યું, ‘અમે ખૂબ જ ચિંતિત છીએ કે આ બોર્ડર પાર કરવાના પ્રયાસને કોઈ રીતે સુવિધા
આપવામાં આવી હોઈ શકે છે અને જ્યારે હવામાન માઈનસ 35 ડીગ્રી સેલ્સિયસની
આસપાસ હતું ત્યારે એક બાળક સહિત આ વ્યક્તિઓ ભારે હિમવર્ષા વચ્ચે તેમના જ હાલ પર
છોડી દેવામાં આવ્યા હતા.’ તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે આ પીડિતોને માત્ર ઠંડા હવામાનનો જ નહીં, પણ લાંબાં મેદાનો, ભારે હિમવર્ષા અને
સંપૂર્ણ અંધકારનો પણ સામનો કરવો પડે છે. ઇમર્સન એ માર્ગ પર છે, જેનો ઉપયોગ યુનાઇટેડ
સ્ટેટ્સ અને કેનેડા વચ્ચે બોર્ડર પાર કરવા માટે કરે છે. એક વર્ષથી બોર્ડર પાર
કરવાના પ્રયાસો બંધ છે, કારણ કે રોગચાળાને કારણે સરહદ બંધ કરવામાં આવી છે.