ભાજપે વ્યંગ કરતા કહ્યું- કોંગ્રેસે હવે વડાપ્રધાન મોદી સામે બ્રહ્માસ્ત્ર મેદાનમાં ઉતાર્યું છે
લાહોર: કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હવે તેમણે પાકિસ્તાનમાં એક ડિબેટમાં ભારતના આંતરિક મામલાની ચર્ચા કરીને ફરી એકવાર વિવાદને આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાનમાં તેમણે દાવો કર્યો હતો કે, એનઆરસી અને એનપીઆર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે પણ મતભેદ છે, જે બંને ભારતમાં હિંદુત્વના ચહેરા છે. મોદી સરકાર એનપીઆરને એનઆરસી લાવવાના રસ્તાના રૂપમાં જુએ છે. સંસદમાં ગૃહ મંત્રીએ આશ્વાસન પણ આપ્યું છે કે, આ એનઆરસીની દિશામાં પહેલું પગલું છે. ઐયરે જે ડિબેટમાં ભાગ લીધો હતો, તેમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનના સાથીદારો પણ હાજર હતા. આ મુદ્દે ભાજપે વ્યંગ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે હવે વડાપ્રધાન મોદી સામે બ્રહ્માસ્ત્ર મેદાનમાં ઉતાર્યું છે.
‘કાતિલ’ શબ્દ બોલતાં વિવાદ
પાકિસ્તાનમાં ડિબેટમાં ભાગ લઈને મણિશંકર ઐયરે દિલ્હીના શાહીન બાગમાં સીએએનો વિરોધ કરી રહેલા લોકોને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર પર હુમલો કરતા કહ્યું કે, ભાજપે ‘સબ કા સાથ, સબ કા વિનાશ’ જેવું કામ કર્યું છે. હવે આપણે જોઈશું કે, કોનો હાથ મજબૂત છે. અમારો કે પેલા ‘કાતિલ’નો. આ અંગે પત્રકારોએ તેમને પૂછ્યું કે, તમે કોને કાતિલ કહી રહ્યા છો? તો તેમણે સવાલ ટાળી દીધો હતો.