• Home
  • News
  • પારિવારિક ઝઘડામાં નણંદે બે સંતાન સાથે મળી વિધવા ભાભીની કર્ણાવતી ક્લબમાં ધોલાઈ કરતાં પોલીસ ફરિયાદ
post

નણંદ- ભાભી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-24 08:42:06

અમદાવાદ: હાઈ પ્રોફાઈલ પરિવારની વિધવા ભાભી - નણંદ વચ્ચે ચાલી રહેલો પારિવારિક તેમજ મિલકતનો ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો. ઘટના કર્ણાવતી ક્લબની લોનમાં બની હતી. ફોટા પાડવા બાબતે ઝઘડો થતાં નણંદે દીકરા અને દીકરીની સાથે મળી વિધવા ભાભીની ધોલાઇ કરી હતી. ક્લબના સીસીટીવીમાં કેદ થયેલી ઘટનાના આધારે ભાભીએ નણંદ અને તેના બે સંતાનો આર્યન અને અનેરી સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

થલતેજ સૂરધારા સર્કલ પાસેના મણિચંદ્ર બંગલોઝમાં રહેતાં વૈશાલીનીબહેન પટેલ (44) ના પતિ બ્રિજેશ પટેલનું પોણા બે વર્ષ અગાઉ અવસાન થયું હતું. ત્યારથી વૈશાલીનીબહેનને નણંદ ભૂમિકાબહેન પટેલ(30)(શેતૂર બંગલોઝ, ડ્રાઈવ ઈન રોડ, થલતેજ) સાથે પારિવારિક તેમજ મિલકતનો ઝઘડો ચાલી રહ્યો હતો.

વૈશાલીનીબહેન અને ભૂમિકાબહેન બંને કર્ણાવતી ક્લબના મેમ્બર છે. બુધવારે સાંજે વૈશાલીનીબહેન ક્લબના ગાર્ડનમાં હીંચકા પાસે ઊભાં હતાં. ત્યારે ભૂમિકાબહેન તેમની નજીકથી પસાર થયાં હતાં. વૈશાલીનીબહેનના હાથમાં મોબાઈલ ફોન હોવાથી ભૂમિકાબહેને તેમને કહ્યું હતું કેઅમારા ફોટા કેમ પાડો છો, તેમ કહેતા વૈશાલીબહેને કહ્યું હતું કે મેં કોઇ ફોટા પાડ્યા નથી. જો કે બંને વચ્ચે ઝઘડો થતાં ભૂમિકાબહેન તેમજ આર્યન અને અનેરીએ વૈશાલીબહેન સાથે મારા મારી કરી હતી. પરંતુ અન્ય મેમ્બરોએ છોડાવ્યા હતા.

મારી નાખવાની ધમકી આપી
બુધવારે સાંજે સાત વાગે જ્યારે હું કર્ણાવતી કલબમાં સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક મારા નણંદ ભૂમિકા, તેનો દીકરો આર્યન અને દિકરી અનેરીએ મારી પર હુમલો કર્યો હતો. મારા પતિના અવસાન પછી મારા સસરા અને નણંદ માનસિક ત્રાસ આપે છે. મને મારી નાખવાની ધમકી આપી છે.- વૈશાલી બ્રિજેશ પટેલ, ભાભી


ઘણા સમયથી વિવાદ ચાલે છે
બ્રિજેશભાઇના અવસાન બાદ વૈશાલીનીબહેન અને ભૂમિકાબહેન વચ્ચે મિલકતનો ઝઘડો ચાલી રહ્યો હતો. ત્યારથી બંને વચ્ચે નાની નાની બાબતે ઝઘડા થતા હતા. વૈશાલીબહેનની ફરિયાદના આધારે ભૂમિકાબહેન અને તેમના બંને સંતાનોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.- બી.બી.ગોયલ, પીઆઈ સરખેજ પોલીસ સ્ટેશન

 


 

adv

Related News

post
post
post
post
post
post
post