ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ
ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સોમવારે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ
રમાશે. મેચની પૂર્વ સાંજે મીડિયા સાથે વાતચીત દરમિયાન ફરી એકવાર કેપ્ટન વિરાટ
કોહલીના સ્થાને કોચ દ્રવિડ આવશે. દ્રવિડને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે વિરાટ
કેમ અત્યારે સામે આવી રહ્યા નથી ત્યારે દ્રવિડે ઘણો રસપ્રદ જવાબ આપ્યો હતો. કોચે
કહ્યું કે સિરીઝની ત્રીજી મેચ વિરાટની કારકિર્દીની 100મી ટેસ્ટ છે. કોહલી આ મેચ પહેલા તમારી સાથે વાતચીત કરવા આવશે. આ સમયે તમારે જે
પ્રશ્ન પૂછવા હોય તે પૂછજો.
વિવાદો છતા વિરાટે
પોતાની જાતને શાનદાર લીડર સાબિત કર્યો
દ્રવિડે કહ્યું કે ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ટીમની બહારનો
વિવાદ ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આમ છતાં વિરાટે જે રીતે ખેલાડીઓ સાથે કનેક્ટ થયો
છે તે વખાણવા લાયક છે. છેલ્લા 20 દિવસના તમામ વિવાદો છતાં વિરાટ એક લીડર તરીકે શાનદાર સાબિત
થયો છે. અમને ટીમનું મનોબળ ઉંચુ રાખવામાં કોઈ મુશ્કેલી પડી નથી. આની જવાબદારી ખુદ
કેપ્ટને લીધી છે. તેણે જે રીતે તાલીમ આપી છે, તેણે જે રીતે પ્રેક્ટિસ
કરી છે અને જે રીતે તેણે ટીમનું નેતૃત્વ કર્યું છે તે પોતાનામાં એક ઉદાહરણ છે.
વિરાટ ટૂંક સમયમાં મોટી
ઇનિંગ્સ રમશે
દ્રવિડે કહ્યું કે વિરાટ એક શાનદાર કેપ્ટન હોવાની સાથે સાથે ટીમનો સૌથી
મહત્વપૂર્ણ બેટ્સમેન પણ છે અને ટૂંક સમયમાં મોટી ઇનિંગ્સ રમશે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષથી વધુ સમયથી
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એકપણ સદી ફટકારી શક્યો નથી. જો કે તેની
કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઘણી મહત્વની ટેસ્ટ મેચ જીતી છે. જેમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ
ઈંગ્લેન્ડમાં લોર્ડ્સ અને ઓવલમાં મળેલી બે જીત પણ સામેલ છે.
વિરાટ પ્રેસ
કોન્ફરન્સમાં નથી આવતો એની પાછળ કોઈ ખાસ કારણ નથી- કોચ
દ્રવિડે મેચ પહેલા જણાવ્યું છે કે વિરાટ કોહલીનું પ્રેસ કોન્ફરન્સમાં ન આવવા
પાછળ કોઈ ખાસ કારણ નથી. કોહલી સિરીઝની ત્રીજી મેચ વિરાટની કારકિર્દીની 100મી ટેસ્ટ છે. મને
કહેવામાં આવ્યું છે કે વિરાટ તે પછી મીડિયા સાથે વાત કરશે.
વિરાટે BCCI સામે આરોપો લગાવ્યા
વિરાટે T-20 વર્લ્ડ કપ પહેલા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય
લીધો હતો. ટૂર્નામેન્ટ પછી, BCCIએ વિરાટ પાસેથી ODIની કેપ્ટન્સી પણ છીનવી લીધી અને રોહિત શર્માને લિમિટેડ ઓવરના બંને ફોર્મેટ
એટલે કે ODI અને T20નો કેપ્ટન બનાવ્યો છે. બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે વિરાટને T-20ની કેપ્ટનશિપ છોડવાની
ના પાડવામાં આવી હતી પરંતુ તે માન્યો નહોતો.
ત્યારપછી વિરાટે આરોપ
લગાવ્યો હતો કે તેને કેપ્ટનશિપ છોડતા કોઈએ રોક્યો નથી. હવે તાજેતરમાં ચીફ સિલેક્ટર
ચેતન શર્માએ પણ કહ્યું છે કે વિરાટને T20ની કેપ્ટનશિપ ન છોડવા
માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે તેણે પોતાનું મન બનાવ્યું, ત્યારે લિમિટેડ
ઓવર્સમાં બે કેપ્ટન રાખવાનો કોઈ અર્થ નહોતો. એટલા માટે રોહિતને બે ફોર્મેટની
કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી.
વર્ષ 2022ની શાનદાર શરૂઆત થઈ છે.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ નવા વર્ષની શાનદાર ઉજવણી
કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ નવા વર્ષની પાર્ટી કરી, કેક કાપી અને ધમાલ કરી.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન વિરાટ કોહલી આ દરમિયાન ખૂબ જ મસ્તી
કરતા જોવા મળ્યા હતા. તે જ સમયે, કોહલીની પત્ની તથા બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ
ભારતીય ટીમ સાથે પાર્ટીમાં હાજર રહી હતી.
ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ
સેન્ચુરિયનમાં ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતી હતી. આ પહેલી વખત છે જ્યારે કોઈ
એશિયન ટીમ સેન્ચુરિયનમાં ટેસ્ટ મેચ જીતી હોય. દક્ષિણ આફ્રિકાની ટીમ 2014 પછી પહેલીવાર આ મેદાન
પર કોઈ ટેસ્ટ મેચ હારી છે. હવે ભારત પાસે જોહાનિસબર્ગ ટેસ્ટ મેચ જીતીને પહેલીવાર
દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાની તક છે.