મહારાષ્ટ્રના 15 બાગી ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y+ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરી
મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી
રહેલા રાજકીય સંકટ વચ્ચે એકનાથ શિંદે જૂથના 20 બાગી ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના
સંપર્કમાં હોવાનો અહેવાલ સામે આવ્યો છે. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે સાથે રહેલા
ઓછામાં ઓછા 20
ધારાસભ્યો
કથિત રીતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં છે. તેમાંથી કેટલાક
ધારાસભ્યો ભાજપમાં વિલયની વિરૂદ્ધમાં છે.
શિવસેનાના 15 બળવાખોરોને મળી Y+ કેટેગરીની સુરક્ષા
બીજી બાજુ શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને
કેન્દ્ર સરકાર તરફથી વાય પ્લસ (Y+) કેટેગરીની સુરક્ષા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
મોદી સરકારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા પ્રદાન કરવાની જાહેરાત કરી છે.
ધારાસભ્યોની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનોની તૈનાતી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં ચાલી
રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ મહાવિકાસ અઘાડીમાં સામેલ એનસીપી તથા કોંગ્રેસના
વરિષ્ઠ નેતાઓની મુલાકાત લીધી હતી. શિવસેનાના સાંસદ અનિલ દેસાઈએ શિવસેનાની
રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં શું બન્યું, શું નિર્ણય અને પ્રસ્તાવ પસાર થયા તથા બળવાખોર
ધારાસભ્યો માટે શિવસેનાએ શું વલણ અપનાવ્યું તે અંગેની માહિતી આપી હતી.
ફડણવીસ-શિંદે વચ્ચે
યોજાઈ બેઠક
મહારાષ્ટ્રના રાજકીય
સંકટ વચ્ચે બાગી નેતા એકનાથ શિંદે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ શનિવારે તેઓ પ્રાઈવેટ જેટની મદદથી
ગુવાહાટીથી વડોદરા પહોંચ્યા હતા અને ભાજપના નેતાને મળીને નવી સરકારની રચના અંગે
ચર્ચા કરી હતી.