• Home
  • News
  • મત્‍સ્‍યોદ્યોગ મુશ્‍કેલીમાં:કોરોનાના લીધે ગીર-સોમનાથના ફીશ એક્ષપોર્ટરોની 1 હજાર કરોડ, માછીમારોની 700 કરોડ રકમ ફસાયા, મત્‍સ્‍યોદ્યોગ ઠપ થવાની કગાર પર
post

મત્સ્યોદ્યોગના હબ વેરાવળમાં રાજયના 16 બંદરોના માછીમાર આગેવાનો, ફીશ એક્ષપોર્ટરોની બેઠક મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 14:00:32

કોરોના કાળની વિપરીત અસરથી માછીમાર ઉઘોગને મોટો ફટકો પડ્યો હોવાથી માછીમારો બેહાલ બની ગયા છે. માછીમારોના એક્ષપોર્ટ કંપનીઓ પાસે 700 કરોડની રકમ ફસાઇ છે, તો ફીશ એક્ષપોર્ટરોની વિદેશમાં નિકાસ કરેલા ફીશના માલની રૂ.1 હજાર કરોડની રકમ ફસાઇ હોવાથી માછીમારોને માલનું ચુકવણું સમયસર કરી શકતા નથી. આ પરિસ્‍થ‍િતિના કારણે ચાલુ સીઝનમાં તીવ્ર આર્થિક સંકળામણનો સામનો કરી રહેલા માછીમારો માછીમારી કરી શકે તેમ ન હોવાથી રાજ્યની મોટાભાગની ફીશિંગ બોટો ઠપ થવાની સ્‍થ‍િતિ ઉદભવી છે. માછીમારોના આવા અનેક પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવા આજે વેરાવળમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા દિવ-દમણના 16થી વઘુ બંદરોના માછીમારો આગેવાનો, ફીશ એક્ષપોર્ટર એસો.ના જગદીશભાઇ ફોફંડી, લખમભાઇ ભેંસલા, ઇકબાલ મોઠીયા સહિતના પ્રતિનિઘિઓની ચિંતન બેઠક મળી હતી.

GSFCAના ચેરમેન સાથે પ્રથમ બેઠક મળી
વેરાવળ જીઆઇડીસીના હોલમાં જીએફસીસીએના ચેરમેન વેલજીભાઇ મસાણી, બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલના અઘ્‍યક્ષસ્‍થાને પ્રથમ બેઠક ગુજરાત-દિવ માછીમારના આગેવાનો સાથે મળી હતી. જેમાં કોરોનાના લોકડાઉન અને વાવાઝોડાની વિપરીત અસરોને કારણે માછીમાર ઉદ્યોગને મોટો ફટકો પડ્યા બાદ ઉદભવેલી પરિસ્‍થ‍િતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જે અંગે બોટ એસો.ના તુલસીભાઇએ જણાવ્યું હતું કે, છેલ્‍લી બે સીઝનમાં વારંવાર આવતા વાવાઝોડાના કારણે તથા ગત વર્ષે માર્ચમાં આવેલા કોરનાના કારણે માછીમારી સીઝન વહેલી બંઘ કરવી પડી હોવાથી માછીમારો આર્થિક સંક્રામણનો સામનો કરી રહ્યા હોવાથી સરકાર પાસે મદદની ગુહાર લગાવી હતી જે સંતોષાઇ ન હતી.

25 હજારો બોટોને લાંગરી માછીમારી બંઘ કરવાની ફરજ પડશે
ચાલુ વર્ષે સીઝનની શરૂઆતમાં જ ડીઝલના વઘેલા અસહય ભાવોથી માછીમારી કરવા જવા પાછળ થતા ખર્ચામાં ખાસો વઘારો થયો છે. આવા સમયે સીઝન નબળી હોવાથી મચ્‍છીનો પુરતો ભાવ મળતો નથી. કોરોના કારણે ઉદભવેલી પરિસ્‍થ‍િતિના કારણે ફીશ એક્ષપોર્ટ કંપનીઓ પાસે માછીમારોના મચ્‍છીના માલના રૂ. 800 કરોડ જેવી રકમ સલવાય છે. ત્‍યારે માછીમારોને સત્‍વરે ચુકવણું નહીં થાય તો ના છુટકે એક માસની અંદર 25 હજારો બોટોને લાંગરી માછીમારી બંઘ કરવાની ફરજ પડશે. માછીમારી થકી સાડા ત્રણ લાખ લોકો રોજગારી મેળવે છે તે બેરોજગાર બની જશે. જેથી આ ઉદભવેલી જટીલ સમસ્‍યાનું વ્‍હેલીતકે નિરાકરણ લાવવા આગામી દિવસોમાં પ્રઘાનમંત્રી, સાંસદને રજુઆત કરી હસ્‍તક્ષેપ કરી મદદે આવવા માંગણી કરવાનું નકકી કરાયુ છે.

1 હજાર જેટલા કન્‍ટેનરો ચીનમાં રસ્તામાં અથવા બંદરમાં પડ્યા છે
ફીશ એક્ષપોર્ટ એસો.ના પ્રમુખ પીયુષ ફોફંડીએ જણાવ્યું હતું કે, ભારતમાંથી ફીશનું ચીનમાં થતુ એક્ષપોર્ટ પૈકીનું 65 ટકા ગુજરાતમાંથી થાય છે. કોરોના કાળમાં ગુજરાતમાંથી એક્ષપોર્ટ થયેલા 1 હજાર જેટલા કન્‍ટેનરો ચીનમાં નિકાસ કરાયા હોય જે રસ્‍તામાં અથવા ત્‍યાંના બંદરોમાં પડ્યા છે. કોરોનાના કારણે ફીશની નિકાસ મંદ રીતે થઇ રહી હોવાથી હાલ ફીશ એક્ષપોર્ટરોની 1 હજાર કરોડ જેવી રકમ વિદેશમાં બાકી છે. જેમાંથી અંદાજે 700 કરોડ જેવી રકમ એક્ષપોર્ટરોએ સ્‍થાનિક જુદા-જુદા બંદરોના માછીમારોને ચુકવવાના છે. જયારે બાકીના બેંકોમાંથી લીઘેલી લોનના ચુકવવાના છે.

સરકાર પાસે લેણી રકમ માછીમારોને ચૂકવાય એ માટે રજૂઆત કરાઈ
વિદેશમાંથી એક્ષપોર્ટરોનું ચુકવણું ઘીમુ આવતુ હોવાથી માછીમારોને ચુકવણીની સાયકલ ખોરવાય છે. ત્‍યારે એક્ષપોર્ટરોને બેંકો પાસેથી વઘુ લોન લઇ માછીમારોને શક્ય તેટલું વઘુ ચુકવણું કરી મદદરૂપ થવા એસો.એ અપીલ કરી છે. કોરોનાના કારણે વિદેશમાં અનેક બંદરો બંઘ થઇ ગયા હોવાથી ફીશ એક્ષપોર્ટરો-માછીમારો મોટી મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે. ફીશ એક્ષપોર્ટરોના એમએસએમઇના અંદાજે 200 કરોડ જેવી રકમ સરકાર પાસે લેણી હોય જે સત્‍વરે છુટી થાય તો અમો માછીમારોને ચુકવી શકીએ. જે માટે પણ એસો. સરકારને રજુઆત કરી રહી છે.

મત્‍સ્‍યોદ્યોગ પડી ભાંગવાના આરે પહોંચ્‍યો
અંકદરે ભારત દેશને વર્ષ હજારો કરોડોનું વિદેશી હુંડીયામણ કમાઇ આપતો અને દેશના જીડીપીમાં મહત્‍વનું હીસ્‍સો ઘરાવતા મત્‍સ્‍યઘોગ પડી ભાંગવાના આરે પહોંચ્‍યો છે ત્‍યારે જો સરકાર તાકીદે આ બાબતની ગંભીરતા ઘ્‍યાને નહીં લે તો આવનારા દિવસોમાં લાખો લોકોની રોજગારીની વિકટ પરિસ્‍થ‍િતિનું નિર્માણ થવાની ભિતી માછીમારો આગેવાનો અને ફીશ એક્ષપોર્ટરોએ વ્‍યક્ત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post