ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ પીડીએમની ત્રીજી રેલી ક્વેટામાં યોજાઈ, મોબાઇલ ફોન બંધ રહ્યા
પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ 11 પક્ષોના વિપક્ષી ગઠબંધન પીડીએમની
ત્રીજી રેલી રવિવારે બલૂચિસ્તાનના ક્વેટામાં યોજાઈ હતી. મોબાઈલ ફોન સેવા બંધ અને
મજબૂત સુરક્ષા વચ્ચે યોજાયેલી આ રેલીને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે
વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતા કારગિલ યુદ્ધ અંગે મોટો ખુલાસો કર્યો હતો.
નવાઝે કહ્યું કે કારગિલ યુદ્ધમાં સૈનિકો પાસે હથિયાર નહોતા
પણ અમુક જનરલોએ જવાનોને યુદ્ધ મેદાને ઊતારી દીધા. કારગિલ યુદ્ધ દરમિયાન નવાઝ શરીફ
પાકિસ્તાનના વડાપ્રધાન હતા. શરીફે તત્કાલીન સૈન્ય પ્રમુખ પરવેઝ મુશર્રફ પર
સાંકેતિકરૂપે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે કારગિલમાં અમારા સેંકડો જવાનોને
શહીદ કરાવવા અને પાકિસ્તાનને દુનિયામાં શરમમાં મૂકવાનો નિર્ણય સૈન્યનો નહોતો પણ
અમુક જનરલોનો હતો, જેમણે
સૈન્યને જ નહીં, દેશની
કોમને એવા યુદ્ધમાં ભરાવ્યું હતું જેમાં કોઈને ફાયદો ન થયો.
નવાઝ શરીફે વર્તમાન સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પર
જનાદેશ ચોરી કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેમણે ઈમરાન ખાનને પ્રજાના મેન્ડેટ
વિરુદ્ધ જઈને વડાપ્રધાન બનાવ્યા છે. સપ્ટેમ્બર 2020માં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ
પાકિસ્તાનના મોટા વિપક્ષી દળોએ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ(પીડીએમ)ની રચના
કરાઇ હતી.