મદનલાલ 1983 અને ગંભીર 2011માં વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય હતા
મદનલાલ અને ગૌતમ ગંભીર BCCI ક્રિકેટ સલાહકાર સમિતિના (CAC) નવા સભ્ય હશે. ત્રીજી નિયુક્તિ પૂર્વ મહિલા ક્રિકેટર સુલક્ષણા નાઈક હોઇ શકે છે. CAC ચાર વર્ષ સુધી અલગ અલગ સિલેક્શન સમિતિઓની પસંદગી કરશે. મદનલાલ 1983માં જ્યારે ગંભીર 2011માં વિશ્વકપ વિજેતા ટીમના સભ્ય હતા. નાઈક પાસે પણ બે ટેસ્ટ અને 46 વન ડેનો અનુભવ છે.
મુખ્ય સિલેક્શન સમિતિમાં બે બદલાવ થવાના છે. વર્તમાન અધ્યક્ષ એમએસકે પ્રસાદ અને ગગન ખોડોના કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે. CAC તેમના સ્થાને નવા સભ્યોની પસંદગી કરશે. વર્તમાન સિલેક્શન સમિતિના અન્ય સભ્ય સરનદીપ સિંહ, દેવાંગ ગાંધી અને જતિન પરાંજપેના કાર્યકાળમાં એક-એક વર્ષ બાકી છે. સાથે જ જૂનિયર સિલેક્શન પેનલમાં પણ બદલાવ થશે.
બોર્ડના પદાધિકારીએ જાણકારી આપી
BCCIના પદાધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું- ‘મદનલાલ અને ગૌતમ ગંભીર CACના સભ્યો હશે.’ મદનલાલ 1983માં વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના ઓલરાઉન્ડર હતા. ગંભીરે 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં શ્રીલંકા વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 97 રનની ઈનિંગ રમી હતી.