• Home
  • News
  • અમદાવાદમાં મેમ્કો, ઓઢવમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ, 50થી વધુ સ્થળે પાણી ભરાયાં, વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા
post

શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ, શાહીબાગ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવા પડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-18 12:22:22

અમદાવાદ: અમદાવાદમાં સોમવારે મોડી સાંજે 8 વાગ્યા પછી સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. માત્ર 3 જ કલાકમાં સમગ્ર શહેરમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને પગલે સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શાહીબાગ અને મીઠાખળી અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. મીઠાખળી અંડરપાસમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે ગોમતીપુરમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. દાણીલીમડા,પાલડીની હોસ્પિટલ, માણેકબાગ, હાટકેશ્વર, સૈજપુર સહિતના 50થી વધુ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

અમદાવાદમાં વિસ્તાર પ્રમાણે વરસાદ

વિસ્તાર

વરસાદ (ઇંચમાં)

ઓઢવ

5

વિરાટનગર

5

મેમ્કો

5

નરોડા

4.5

મણિનગર

4.25

ચકુડિયા

4

પાલડી

3

દાણાપીઠ

3

દૂધેશ્વર

3

કોતરપુર

3

વટવા

3

ઉસ્માનપુરા

2

ચાંદખેડા

1.5

રાણીપ

1.5

સરખેજ

1.25

બોડકદેવ

1

​​​​​​

સૌથી વધુ વરસાદ પૂર્વઝોનમાં 4.25 ઇંચ
સૌથી વધુ 5 ઇંચ વરસાદ મેમ્કો, ઓઢવ, વિરાટનગર, નરોડા વિસ્તારમાં પડ્યો જ્યારે ગોતામાં અડધો ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો. ઝોનવાર સૌથી વધુ વરસાદ પૂર્વઝોનમાં 4.25 ઇંચ, જ્યારે ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 4 ઇંચ, જ્યારે મધ્ય ઝોનમાં 3 ઇંચ તેમજ પશ્ચિમ ઝોનમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. 50થી વધુ વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા.

ભારે વરસાદને પગલે વાસણા બેરેજના પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા. શહેરમાં અત્યાર સુધી સિઝનનો કુલ 24.68 ઇંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ શહેરમાં 6 ઇંચ વરસાદની ઘટ હોવાનું જાણવા મળ્યું છે.

દાણીલીમડામાં વરસાદ અને ગટરના પાણી ઉભરાયા, ભાઇપુરામાં છત પડતાં એકને ઈજા
શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. વિઠ્ઠલનગર, બાબુનગર, દાણીલીમડા પોલીસ સ્ટેશન પાસે વરસાદી પાણી સાથે ગટર અને કેમિકલના પાણી ભરાયા ઉભરાયા છે. અમરાઈવાડીના ભાઇપુરામાં આવેલી સેવન ડે સ્કૂલની પાછળ મકાનની છત પડતા એક વ્યક્તિને ઇજા થઇ છે. અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થયો હતો. ગાંધીનગરના સેક્ટર-4માં પાર્ક કરેલી ગાડી પર વૃક્ષ પડ્યું હતું.

રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી
ઉત્તર-પુર્વીય મધ્યપ્રદેશ અને ઉત્તરીય છત્તીસગઢની આસપાસ લો- પ્રેશરની સાથે સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય છે. તેમજ 19 ઓગસ્ટેથી નવું લો-પ્રેશર બંગાળની ખાડીમાં સક્રીય થશે, જેની અસરોથી આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તેમજ અમદાવાદમાં બે દિવસ હળવા ઝાપટા તેમજ કેટલાંક વિસ્તારોમાં ઉઘાડ નીકળે શકે છે. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.3 ડિગ્રી નોંધાયું હતું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post