હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા કેસમાં આરોપીઓના એન્કાઉન્ટરને લઈને આખા દેશમાં ચર્ચા છે
નવી દિલ્હી : હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા કેસમાં
આરોપીઓના એન્કાઉન્ટરને લઈને આખા દેશમાં ચર્ચા છે. અનેક લોકો પોલીસના કામની પ્રશંસા
કરી રહ્યા છે તો અમુક લોકો પોલીસના કાર્ય પર શંકા વ્યક્ત કરી રહ્યા છે. હવે
સુપ્રીમ કોર્ટમાં આ એન્કાઉન્ટરને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં
પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સુપ્રીમના વકીલ જીએસ મની અને પ્રદીપ કુમારે
જાહેર હિતની અરજી કરી છે. આ અરજીમાં પોલીસ એન્કાઉન્ટર અંગે ફરિયાદ દાખલ કરવાની
માંગણી કરવામાં આવી છે. સાથે જ એન્કાઉન્ટર કરનાર પોલીસવાળાઓ સામે તપાસ કરવાની માંગ
કરવામાં આવી છે. નોંધનીય છે કે શુક્રવારે હૈદરાબાદ પોલીસે ગેંગરેપ અને હત્યાના ચાર
આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા.
આ મામલે તેલંગાણા હાઇકોર્ટમાં પણ એક અરજી દાખલ કરવામાં
આવી છે. હાઇકોર્ટે પોલીસને આરોપીઓના મૃતદેહને 9મી ડિસેમ્બર સુધી સાચવી રાખવાનો
આદેશ કર્યો છે. અનેક વર્તમાન અને પૂર્વ પોલીસ અધિકારીઓેએ આ એન્કાઉન્ટરને યોગ્ય
ગણાવ્યું છે, જ્યારે અમુક લોકોએ તેની નિંદા કરી છે.
આ પહેલા શુક્રવારે એન્કાઉન્ટરમાં મોતના મામલે રાષ્ટ્રીય
માનવાધિકાર આયોગે સ્વયંભુ કાર્યવાહી કરી હતી. જે બાદ
રાષ્ટ્રીય માનવાધિકારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હૈદરાબાદ મહિલા ડૉક્ટર
સાથે ગેંગરેપ અને હત્યાના આરોપીઓને લઈને પોલીસ વહેલી સવારે ઘટનાસ્થળ પર પહોંચી
હતી. પોલીસ આ ઘટનાને આરોપીઓની દ્રષ્ટિથી જોવા માંગતી હતી. આ દરમિયાન આરોપીઓએ
પોલીસના હથિયારો છીનવી લીધા હતા. જે બાદમાં આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ
દરમિયાન તમામ આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.