• Home
  • News
  • હું ભાજપમાં છું, હતો અને રહીશ, ભાજપને જીત મળે તે માટે તનતોડ મહેનત કરીશ: વજુભાઇ વાળા
post

તેમણે કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ. વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-24 13:02:48

રાજકોટ: 2022ની ચૂંટણી (Election) ને હજુ એક વર્ષ કરતા વધુ સમયની વાર છે, જો કે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સામાજિક આગેવાનો અને નેતાઓ પણ તૈયાર છે. તેવામાં રાજકોટ (Rajkot) માં ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા (Vajubhai Vala) ને ત્યાં મહત્વની બેઠક મળી હતી. 

શુક્રવારે મોડી મળેલી બેઠકમાં સામાજિક એકતા સાથે રાજકીય શક્તિ પ્રદર્શન અંગે મહત્વની રણનીતિ ઘડવામાં આવી છે. પૂર્વ મંત્રી અને અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશાભાઈ બારડ (Jashabhai Barad) તથા માવજીભાઈ ડોડીયા (Mavjibhai Dodiya)  સહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. પાટીદારોના ખોડલધામ જેવું જ કારડિયા રાજપૂત સમાજનું ભવાની માતા (Bhavani Mata) નું મોટું મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શક્તિની ભક્તિ સાથે સમાજની એકતાના આ મંદિરના નિર્માણ સહિતનું સુકાન વજુભાઈ વાળા (Vajubhai Vala) ને સોંપવામાં આવશે. લીંબડી હાઈવે (Limbdi Highway) પર ભવાની માતાજી (Bhavani Mataji) નું આ ભવ્ય મંદિર નિર્માણ થશે. ત્યારે વજુભાઈ વાળા 2022ની ચૂંટણી પહેલા ફરી મેદાને આવ્યા છે. અને સમાજને એક રાખવા માટે આ ભવ્ય મંદિર અગત્યનો ભાગ ભજવશે.

ગુજરાત ભાજપ (Gujarat BJP) ના રાજકારણમાં બે દાયકા સુધી દબદબો ધરાવ્યા બાદ રાજ્યપાલ બનેલા અને હાલમાં જ રાજ્યપાલપદેથી નિવૃત્ત થઈ પરત રાજકોટ (Rajkot) આવી ગયેલા રાજકારણના જૂના ખેલાડી વજુભાઈ વાળાએ કહ્યું હતું કે હું નિવૃત થાઉં તો ગીતામાંથી કર્મયોગ કાઢવો પડે અને ભાજપનો કાર્યકર હતો અને રહીશ.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું, પાર્ટી જે કામ સોંપશે તે કરીશ. ભાજપના પ્રમુખ જે લક્ષ્યાંક આપશે તેને પુરો કરવા માટે તનતોડ મહેનત કરીશ. રાજકીય રીતે કોઇ પ્રદર્શન કરવાની કોઇ વાત નથી. પક્ષ જે જવાબદારી સોંપશે તે હું કરીશ. 2022ની ચૂંટણીમાં હું કાર્યકર તરીકે કામ કરીશ. 2/3 બહુમતી માટે કામ કરીશ અને કોઇપણ મોરચો આવે તો પણ કોઇ ફેર નહી પડે. તમામ સમાજને સાથે રાખીને મંદિરનું નિર્માણ કરવામાં આવશે. 

બાદમાં વજુભાઈ હવે કેવો દાવ ખેલશે એ તરફ રાજકીય પંડિતો અને ભાજપના કાર્યકરોની નજર મંડાયેલી છે. ત્યારે ભાજપના આ દિગ્ગજ નેતાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કારડિયા રાજપૂત સમાજના માતાજીનું વિશાળ મંદિર બનાવી સમાજને એક છત હેઠળ લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post