ભારતમાં પણ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદી સ્થિતિ છે
નવી દિલ્હી: બંગાળની ખાડીમાં સર્જાયેલા સિતરંગ વાવાઝોડાને પગલે
અસમમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. અહીંયા નાગાંવ જિલ્લામાં તોફાની વરસાદ પડી રહ્યો
છે. અહીંયા તોફાની પવન ફુંકાવા અને ભારે વરસાદને પગલે અનેક મકાનોને નુકસાન થયું
છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં મોટા મોટા વૃશ્રો ધરાસાયી થયા છે અને વીજળીના થાંભલા
પણ તૂટી ગયા છે. નાગાંવના કાલિયાબોર, બામુનિ, સકમુથિયા ચાય બાગાન, બોરલીગાંવ વિસ્તારોમાં
ઘણા મકાનો તૂટી ગયા છે. વાવાઝોડામાં કોઈનું મોત થયાના સમાચાર નથી. અનેક
વિસ્તારોમાં વીજળીનાં થાંભલા પડી જવાના કારણે અંધારપટ છવાઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા
પ્રમાણે કલિયાબોરમાં અનેક કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો
ધરાશાયી થઈ જવાને પગલે રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીજી તરફ ગુવાહાટીમાં અનેક
વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ છે. ચક્રવાત સિતરંગના કારણે
પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યો દ્વારા ઘણી ટ્રેન અને
ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. રેલવે દ્વારા પોતાના વિશેષ ટીમને કોઈપણ ઘટના માટે, બચાવ માટે હાઈ એલર્ટ ઉપર
રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ચક્રવાત થોડું નબળું પડ્યાના
સંકેત આપવામાં આવ્યા છે.
મહત્ત્વની વાત એ છે કે, બાંગ્લાદેશમાં વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તે ઉપરાંત છ જિલ્લામાં 11 લોકોનાં મોત થયા હતા. આ સિવાય હજી આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારતમાં પણ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદી સ્થિતિ છે. બંગાળ અને ઓડિશામાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.