પંજાબથી આવનારા કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ પણ રાવતના નેતૃત્વ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો
નવી દિલ્હી:
પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ હાઈકમાને રાજ્યમાં એક ફેરફારની તૈયારી કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને પંજાબના પ્રદેશ પ્રભારી પદેથી દૂર કરવામાં આવી શકે છે. તેમના બદલે હરીશ ચૌધરીને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. પંજાબમાં છેલ્લા 15 દિવસથી એક પછી એક મોટા પરિવર્તનો થઈ રહ્યા છે. સૌથી પહેલા તો કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું. ત્યાર બાદ ચરણજીત સિંહ ચન્નીને રાજ્યના નવા મુખ્યમંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા. આ બધા વચ્ચે પંજાબના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પણ રાજીનામુ આપી દીધું. પંજાબના પ્રભારી તરીકે રાવત આ બધા મુદ્દાઓને ઉકેલવામાં અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયા છે. પંજાબથી આવનારા કોંગ્રેસી સાંસદ મનીષ તિવારીએ પણ રાવતના નેતૃત્વ સામે સીધો સવાલ ઉઠાવ્યો હતો. મનીષ તિવારીએ કહ્યું હતું કે, જે લોકોને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે તેમને ત્યાંની સમજણ નથી.