પાલનપુર, પાલ, વરાછા અને સરથાણામાં ફરી ક્લસ્ટર જાહેર કરાયા
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ આવતાં તંત્રની ચિંતામાં
વધારો થયો છે. ફેબ્રઆરી મહિનામાં ત્રણ લોકોના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં
આવ્યા હતાં. જેમાંથી એકના સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેન કોરોનાના લક્ષણો દેખાતા
તંત્ર દોડતું થયું છે. સુરતના 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મૂકવામાં આવ્યા છે.
શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 54285 પર પહોંચ્યો
મહાનગરપાલિકાના
જણાવ્યા પ્રમાણે, સુરત
શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 54285 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર
જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાં 75 અને જિલ્લાના 7 લોકો મળી કુલ 82 લોકોને સાજા થઇ જતા રજા આપી
દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં 52,541 લોકોને સાજા થઇ જતા રજા આપી
દેવામાં આવી હતી.
કુલ 2070 લોકો ક્લસ્ટરમાં મૂકાયા
પાલિકાની
ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ સુરત શહેર જિલ્લામાં કોરોના કેસ 35થી વધુ આવતા હતા. હવે છેલ્લા 2 દિવસથી 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
કોરોનાના કેસ વધતા પાલિકાએ ફરી ક્લસ્ટરનો અમલ શરૂ કર્યો છે. વરાછા ઝોનમાં સંકલ્પ
રેસીડેન્સીમાં 68 રહિશો, સરથાણા ઝોનમાં સીતુનગર, અજમલ પેલેસ, ધર્મિષ્ઠા પાર્ક, રામનગર, સીતારામ સોસાયટીના કુલ 264 રહિશોને ક્લસ્ટર જાહેર કરવામાં
આવ્યા છે. રાંદેર ઝોનમાં રાજહંસ ઓરેન્જ, સલજ હોમ્સ, સ્નેહ સ્મૃતિ સોસાયટી, સ્વપ્ન સૃષ્ટિ એપોર્ટમેન્ટ, યોગી કોમ્પલેક્સ, સરપંચ મહોલ્લો, ડિવાઈન રેસીડેન્સી, ઓમકાર રેસીડેન્સી, વિજયાલક્ષ્મી હિલ્સ, નીલકંઠ રેસીડેન્સી, રાજહંસ કેમ્પસ, સ્વસ્તિક વિલા, આકાર જ્યોત એપાર્ટમેન્ટ, પાદરીયો મહોલ્લો, રામગર કોલોની, બ્લુ ડાયમંડ એપાર્ટમેન્ટ, રંગરાજ રેસીડેન્સીના મળી કુલ 1738 રહિશોને ક્લસ્ટર જાહેર કરાયા છે.
લોકમાન્ય સ્કૂલમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ
શહેરમાં ઉચ્ચતર પ્રાથમિક શાળા સાથે માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના શાળાના
સ્ટાફમાં કોરોના પોઝિટીવ કેસ જોવા મળી રહ્યા છે, આ સ્થિતિ વચ્ચે રાંદેરની
લોકમાન્ય સ્કૂલમાં ધો.12 સાયન્સના 3 વિદ્યાર્થી અને 1 શિક્ષકનો રિપોર્ટ
પોઝિટીવ આવ્યો હતો. જેથી રાંદેર ઝોનની આરોગ્ય વિભાગની ટીમે ધો.12 સાયન્સના તમામ વર્ગખંડો
બંધ કરાવવા માટે શાળા સંચાલકોને નોટિસ આપી છે.
8 સ્કૂલોમાં 511 લોકોનું ટેસ્ટીંગ કરાયું
મોરાભાગળ મોરારજી નગરમાં લોકમાન્ય વિદ્યાલય સ્કૂલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી
એક વિદ્યાર્થિનીને શંકાસ્પદ લક્ષણો જણાતા જહાંગીરપુરા ચેક પોસ્ટ પર કોરોના
ટેસ્ટીંગ સેન્ટર ઉપર જઇ રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીનીનો રિપોર્ટ
પોઝિટીવ આવતા પાલિકાની ટીમે તેણીના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો તથા શાળાના
વિદ્યાર્થીઓ-શિક્ષકોના ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટીંગ દરમિયાન શાળાના ધો.12 સાયન્સના અન્ય બે
વિદ્યાર્થી સાથે સાયન્સના જ એક શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે પાછળથી
પોઝિટીવ આવેલા ત્રણેયમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા ન હતા. રાંદેર ઝોન
વિસ્તારમાં આવેલી 8 સ્કૂલોમાં 511 લોકોનું ટેસ્ટીંગ કરાયું
હતું. જેમાં આ એકપણ કેસ સામે આવ્યો નથી.