• Home
  • News
  • વિઝા પ્રતિબંધોમાં છૂટ:વિદેશી વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારત આવવાની મંજૂરી, ટૂરિસ્ટ વિઝા પર પ્રતિબંધ યથાવત્
post

ઇલેક્ટ્રોનિક, ટૂરિસ્ટ અને મેડિકલ વિઝા ઉપરાંત તમામ વિઝા તાત્કાલિક અસરથી શરૂ કરાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-23 10:50:37

અનલોક-5માં સરકારે વિઝા પ્રતિબંધોમાં રાહત આપી છે. સરકારે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા(OCI)અને પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન(PIO) કાર્ડધારકોને વિઝા આપવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઉપરાંત વિદેશી વિદ્યાર્થી અને વેપારીઓને પણ ભારત આવવા માટે વિઝા આપવામાં આવશે. જોકે સરકારે ટૂરિસ્ટ વિઝા પર પ્રતિબંધ યથાવત્ રાખ્યો છે.

ગૃહ મંત્રાલયના તાજેતરના આદેશો પ્રમાણે, ઈલેક્ટ્રોનિક વિઝા, ટૂરિસ્ટ વિઝા અને મેડિકલ વિઝા ઉપરાંત તમામ પ્રકારના હાલના વિઝાને તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવ્યા છે. સારવાર માટે ભારત આવતા વિદેશી નાગરિકોએ અટેન્ડેન્ટ સાથે મેડિકલ વિઝા માટે અરજી કરવી પડશે.

લોકો હવે એર વે અને સમુદ્રી માર્ગે આવી શકશે
જે કેટેગરીને વિઝાના પ્રતિબંધોમાંથી છૂટ આપવામાં આવી છે એના હેઠળ લોકો એર વે અને સમુદ્રના માર્ગે ભારતમાં આવી શકશે. સરકારે વિદેશીઓને દેશમાં પ્રવેશ આપવા માટે અમુક જ એરપોર્ટ અને ઈમિગ્રેશન ચેક પોસ્ટને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયમાં વંદે ભારત મિશન, એર ટ્રાન્સપોર્ટ બબલ અરેન્જમેન્ટ અથવા સરકાર પાસેથી મંજૂરી મળેલી હોય એવી નોન-શિડ્યૂલ કોમર્શિયલ ફ્લાઈટને પણ સામેલ કરવામાં આવી છે.

સરકારે 23 માર્ચે ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો
કોરોના વાઈરસ મહામારીને કારણે ભારતે 23 માર્ચે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી દેવાઈ હતી. કોરોનાના સમયમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી હતી. તો આ તરફ ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે નૌકાદળનાં જહાજ પણ તહેનાત કરવામાં આવ્યાં હતાં. સરકાર વંદે ભારત મિશન હેઠળ સાત તબક્કામાંથી 50થી વધુ દેશોમાંથી લાખો ભારતીય નાગરિકોને પાછા બોલાવી ચૂકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post