• Home
  • News
  • IPLની મેચ અમદાવાદથી મુંબઈ શિફ્ટ થવાની શક્યતા:કોરોનાના કારણે એક જ શહેરમાં મેચ કરાવી શકે છે BCCI, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
post

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો કાર્યક્રમ પણ બદલાઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-04 11:16:57

કોરોના મહામારીના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (2021)ની બાકીની મેચમાંથી મોટાભાગની મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. BCCI સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં આ વિશેની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોમવારે KKRના બે ખેલાડીએ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરના કોરોના પોઝિટિવ આવ્યા પછી હોબાળો શરૂ થઈ ગયો છે. RCB અને KKR વચ્ચે થનારી મેચ પણ ટાળી દેવામાં આવી છે.

આ સપ્તાહના અંતમાં શિફ્ટિંગ થઈ શકે છે
BCCI
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહના અંતમાં છે IPLને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે. તેનો અર્થ એવો થાય છે કે, કોલકાતા અને બેંગલુરુમાં મેચ રમવામાં આવશે નહીં. તે સાથે જ પ્લેઓફ સહિત ફાઈનલ મેચ અમદાવાદમાં નહીં થાય. આ બધી જ મેચ મુંબઈમાં જ થશે. જોકે હજી આ વિશે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. ત્યારપછી જ કોઈ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવશે.

મુંબઈના 3 સ્ટેડિયમમાં થઈ શકે છે મેચ
BCCI
ના આ પ્લાન પ્રમાણે 8 અથવા 9 મેથી IPLની દરેક મેચ મુંબઈના ત્રણ સ્ટેડિયમમાં રમાવાની છે. વાનખેડે સિવાય બ્રેબોર્ન અને ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં મેચ થવાની છે. વાનખેડેમાં સિઝનની 10 મેચ પહેલાં જ રમી લેવામાં આવી છે. બાકીના બે સ્ટેડિયમ પણ મેચ માટે રેડી હોવાનું જણાવવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોટી સ્ટેડિયમને મોટો ઝટકો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 મેચ થવાની હતી. તેમાંથી હજી 6 બાકી છે. હવે જોવાનું એ બાકી છે કે, 6 અને 8 મેના રોજ થનારી મેચ અહીં થશે કે નહીં. મુંબઈ મેચ શિફ્ટ થવાના કારણે પ્લે ઓફ અને ફાઈનલ જેવી મોટી મેચ સ્ટેડિયમ પાસેથી છીનવાઈ ગઈ છે.

શેડ્યુલમાં પણ થઈ શકે છે ફેરફાર
જો વિકએન્ડથી IPLની મેચ મુંબઈ શિફ્ટ થશે તો શિડ્યુલમાં પણ ફેરફાર આવી શકે છે. તે પ્રમાણે દિવસોની સંખ્યામાં પણ ફેરફાર થઈ શકે છે, જેમાં એક દિવસે બે-બે મેચ રમાવાની છે. આ સિવાય ફાઈનલ મેચ પણ 30 મેની જગ્યાએ જૂનના પહેલાં સપ્તાહમાં થઈ શકે છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો કાર્યક્રમ પણ બદલાઈ શકે છે
જો IPLનું આયોજન જૂનના પહેલાં સપ્તાહ સુધી ખેંચાય તો પછી ઈંગ્લેન્ડમાં 18થી 22 જૂન સુધી થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચનો કાર્યક્રમ પણ બદલવામાં આવી શકે છે. અત્યારે ઈંગ્લેન્ડે ભારતથી આવવા-જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો આમાં થોડી છૂટ પણ આપવામાં આવે તો ખેલાડીઓને 14 દિવસ ક્વોરન્ટિન રહેવું પડશે. IPL જૂનના પહેલાં સપ્તાહ સુધી ખેંચાય તો 18 જૂનથી ફાઈનલનું આયોજન શક્ય નથી.