કાનપુરમાં ત્રણ જૂને થયેલી હિંસામાં સામેલ આરોપીઓને ઝડપી લેવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. સીસીટીવી અને વીડિયોની તપાસ કર્યાં બાદ પોલીસે 40 શંકાસ્પદોની તસવીર જાહેર કરી છે.
લખનઉઃ કાનપુરમાં 3 જૂન શુક્રવારે નમાઝ બાદ
બબાલ થઈ હતી. હવે પોલીસ આ મામલામાં સતત કાર્યવાહી કરી રહી છે. સોમવારે પોલીસે
હિંસક ઘર્ષણમાં સામેલ 40
શંકાસ્પદોના
પોસ્ટર જાહેર કર્યા છે. આ શંકાસ્પદોની તસવીરો પોલીસે સીસીટીવી અને વીડિયોની તપાસ
કર્યા બાદ જાહેર કરી છે. તો પોલીસે આ શંકાસ્પદ લોકોને શોધવા માટે મદદ કરવાની પણ
અપીલ કરી છે. પોલીસે કહ્યું કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. કાનપુર
પોલીસે શંકાસ્પદ લોકોની જાણકારી આપવા માટે ઇન્સ્પેક્ટર બેકનગંજનો મોબાઇલ નંબર (9454403715) પણ જાહેર કર્યો છે. તો
કાનપુર પોલીસ હિંસામાં સામેલ લોકોની તસવીરોવાળા હોર્ડિંગ પણ જાહેર સ્થળે લગાવશે.
કાનપુરમાં
શુક્રવારે થયેલી હિંસામાં સામેલ મુદ્દે જોઈન્ટ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ કહ્યુ
કે, અત્યાર સુધી 38 લોકોની ધરપકડ કરવામાં
આવી છે. જે પેટ્રોલ પંપ પરથી ખુલ્લુ પેટ્રોલ લેવામાં આવ્યું તેના પર પણ કાયદાકીય
કાર્યવાહી થશે. જોઈન્ટ કમિશનરે કહ્યું કે અમે હજુ કોઈ પોસ્ટર જાહેર કર્યાં નથી.
પોલીસ ફોટોગ્રાફની ઓળખ કરી રહી છે. જો તે ન મળે તો તેને જાહેર કરવામાં આવશે.
હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાં નિઝામ કુરૈશીનું નામ આવ્યું છે. કુરૈશી જૌહર
ફેન્સ એસોસિએશનના પદાધિકારી છે. તે સપાના નેતા હોવાનું પણ સામે આવ્યું છે.
ફેસબુકમાં નિઝામ કુરૈશીએ સપા નેતાની સાથે તસવીરો પણ પોસ્ટ કરી છે. પોલીસ તેને શોધી
રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી
રહ્યાં છે. આવારા તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલ તો પોલીસ સમગ્ર
મામલે તપાસ કરી રહી છે સાથે આરોપીઓને ઝડપી લેવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.