દશકાઓથી ચાલી રહેલા અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની આજે અંતિમ સુનાવણી કરવામાં આવી છે
નવી દિલ્હી: દશકાઓથી ચાલી રહેલા અયોધ્યા
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની આજે અંતિમ સુનાવણી કરવામાં આવી છે. સાંજે 4 વાગ્યા સુધીમાં
કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે આજે તમામ પક્ષોની દલીલો
સાંભળ્યા પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના
પહેલાં સપ્તાહમાં આ કેસનો ચુકાદો આવી શકે છે.
રાજીવ ધવને હિન્દુ પક્ષકારોની દલીલનો જવાબ આપતા
કહ્યું કે, યાત્રીઓના પુસ્તકો સિવાય તેમની પાસે ટાઈટલ એટલે કે માલિકી
હકનો કોઈ પૂરાવો નથી. તેમણે કહ્યું કે તેમની વિક્રમાદિત્ય મંદિરની વાત માની લઈએ તો
પણ તે રામજન્મભૂમિ મંદિરની દલીલ સાથે મેળ જ નથી થતી. તેમણે કહ્યું કે, 1886માં ફેઝાબાદ
કોર્ટ કહી ચૂકી છે કે, ત્યાં હિન્દુ મંદિરનો કોઈ પુરાવો
નથી મળ્યો. હિન્દુઓએ આ વાત પડકારી પણ નથી. રાજીવ ધવને આ દરમિયાન ભારતના ઈતિહાસ
વિશે જણાવ્યું છે કે, ભારતમાં આર્યન સમયથી લોકો રહે છે.
ઘણાં લોકો હજારો વર્ષો સુધી અહીં રહ્યા છે. ભારત એક નહતું પણ ઘણાં હિસ્સાઓ સાથે
જોડાયેલું હતું. તેમણે કહ્યું કે, શિવાજી સમયે હિન્દુસ્તાનમાં
રાષ્ટ્રવાદ વધ્યો હતો. રાજીવ ધવને કહ્યું કે, હિન્દુ મંદિરનો કોઈ પુરાવો નથી. 1886માં કમિશનરે
કહ્યું હતું કે, હિન્દુઓ પાસે કોઈ અધિકાર નથી.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ દરમિયાન
નિર્ણયના અનુવાદ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, રામ જન્મભૂમિ
પુનરુદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ અનુવાદને યોગ્ય ગણાવ્યું અને વધુ એક ફકરો
વાંચ્યા, પણ અમે તેમને પહેલા પણ સાંભળી ચુક્યા છીએ. બાબર દ્વારા
મસ્જિદના નિર્માણ માટે ગ્રાન્ટ અને ભાડું માફ કરવાના દસ્તાવેજ છે. આ અંગે જસ્ટિસ
ચંદ્રચુડે કહ્યું કે, ગ્રાન્ટમાંથી તમને માલિકી અધિકારની
પુષ્ટી કેવી રીતે થાય છે? રાજીવ ધવને કહ્યું કે, જમીદારી અને
ભાડાના જમાના પ્રમાણે જોવા જઈએ તો જમીનના માલિકને જ ગ્રાન્ટ મળતી હતી. રાજીવ ધવને
કહ્યું કે, આ લોકોની દલીલો મૂર્ખતા ભરેલી છે કારણ કે તેમને ભૂમિ કાયદા
અંગેની કોઈ માહિતી નથી. આ અંગે પીએન મિક્ષાએ કહ્યું કે, લેન્ડલોજ પર બે
પુસ્તક લખ્યા છે અને તમે કહી રહ્યાં છો કે મને કાયદો નથી ખબર. આ અંગે રાજીવ ધવને
કહ્યું કે,તમારા પુસ્તકોને સલામ તેની પર પીએચડી કરી લો.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, હિન્દુ
પક્ષકારોએ કુરાન આધારિત જે પણ દલીલો કરી છે તેમાં કોઈ દમ નથી. રાજીવ ધવને કહ્યું
કે, અમે અમારી જમીન પર કબજો ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે, જે દસ્તાવેજોની
વાત થઈ રહી છે તેના ચાર અર્થ છે. પહેલો ઉર્દુ, પછી હિન્દી જે જિલાની તરફથી થયું, પછી ફરી એક
હિન્દી જે હાઈકોર્ટ જસ્ટિસ અગ્રવાલ તરફથી કરાયું. તેમણે કહ્યું કે, 2017માં ચોથું
ટ્રાન્સલેશન થયું હતું. મુસ્લિમ પક્ષે તેમની દલીલમાં કહ્યું કે, 6 ડિસેમ્બર 1992માં જે નષ્ટ
કરવામાં આવી તે અમારી પ્રોપર્ટી હતી. વક્ફ સંપત્તિના મતવલ્લી જ તેના સમારકામના
જવાબદાર હોય છે. તેને બોર્ડ જ નક્કી કરે છે. રાજીવ ધવને કહ્યું કે, અયોધ્યાને અવધ
અથવા ઔધ લખવામાં આવે છે. તેની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ વિશે જસ્ટિસ
ચંદ્રચૂડે કહ્યું કે, જો અમે તમારા આધારે જોઈએ તો તે
માલિકીહકના દસ્તાવેજો નથી.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, મેં કોર્ટમાં
નકશો ફાડ્યો તે વાત વાયરલ થઈ ગઈ છે. પરંતુ મેં આ કોર્ટના આદેશથી કર્યું છે. મેં
એવું કહ્યું હતું કે, હું આને ફેંકવા માંગુ છુ ત્યારે ચીફ
જસ્ટિસે કહ્યું હતું કે, તમે ફાડવા માંગતા હોવ તો આને ફાડી
શકો છો.