• Home
  • News
  • ભારતમાં કોરોનાનો પ્રકોપ ઝડપથી ‌વધતો હોવાથી લૉકડાઉન જૂન અથવા તો સપ્ટેમ્બર મહિના સુધી લંબાવાય એવી શક્યતા
post

અમેરિકાની કન્સલ્ટિંગ ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપમાં કરાયેલો દાવો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 09:43:09

નવી દિલ્હી:  ભારતમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે દેશભરમાં જાહેર કરાયેલું લૉકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવાઈ શકે છે. અમેરિકન કન્સલ્ટિંગ ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (બીસીજી)એ ભારતની સ્થિતિનો અભ્યાસ કરીને આ દાવો કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં જૂનના ચોથા અઠવાડિયામાં અથવા તો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં જ લૉકડાઉન ખોલવાનું શરૂ કરી શકાય એમ છે. જોકે, ભારતમાં કોરોના કાબૂમાં ના આવ્યો તો જૂનના ત્રીજા અઠવાડિયામાં તેના કેસ અચાનક વધી જવાની શક્યતા છે. 


ભારતમાં પણ ચીનની તર્જ પર લૉકડાઉન કરીને કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસ
બીસીજીના રિપોર્ટમાં કહેવાયું છે કે દેશભરમાં લૉકડાઉન ખોલવામાં ભારત સરકાર સામે જાહેર આરોગ્ય સેવાની અપૂરતી તૈયારી અને જાહેર નીતિઓની અસરકારકતાના રેકોર્ડ જેવા પડકાર છે. ભારતમાં પણ ચીનની તર્જ પર લૉકડાઉન કરીને કોરોનાને કાબૂમાં લેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. આ દરમિયાન કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં 14 એપ્રિલે 21 દિવસનું લૉકડાઉન પૂરું થશે. ત્યાર પછી લૉકડાઉન લંબાવવાની સરકારની કોઈ યોજના નથી. એટલું જ નહીં, 22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂ જાહેર કર્યો હતો. એ પછી પણ સરકારે કોરોના વાઈરસને ફેલાતો રોકવા લોકોને 25 માર્ચથી ઓછામાં ઓછું 14 એપ્રિલ સુધી ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. 


ભારતમાં એપ્રિલની મધ્યમાં કોરોનાનો કેર શરૂ થઈ શકે છે
જોકે, આ રિપોર્ટ તૈયાર કરવા કોરોનાને લઈને ભારતની વાસ્તવિક સ્થિતિ, તે સંપૂર્ણપણે લૉકડાઉન છે કે નહીં તેમજ વાઈરસ રોકવાના ઉપાયો જેવી બાબતો ધ્યાનમાં રખાઈ છે. 25 માર્ચ સુધીના અનુમાનોના આધારે તૈયાર કરાયેલો આ રિપોર્ટ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના અનુમાન કરવાના મોડલ પર આધારિત છે. આ સિવાય બીજા અનેક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં એપ્રિલની મધ્યમાં કોરોનાનો કેર શરૂ થઈ શકે છે. નોંધનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસ 4553 થઈ ગયા છે, જેમાંથી ફક્ત 328 સાજા થઈ શક્યા છે અને 118 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. 


આ ઉપરાંત વિશ્વમાં કુલ કેસનો આંકડો 12.97 લાખથી પણ ‌વધી ગયો છે, જ્યારે 71,270નાં મોત થઈ ચૂક્યાં છે. ડેટા ઈન્ટેલિજન્સ યુનિટ ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર, અન્ય દેશોમાં કોરોના વાઈરસનો ચેપ વૃદ્ધોને વધુ લાગે છે, પરંતુ ભારતમાં આ વાઈરસનો ભોગ યુવાનો વધારે બની શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post