અનુચ્છેદ 370 અને 35A હટાવ્યા પછી સરકારના 36 મંત્રીઓ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ જોવા જવાના હતા
મલપ્પુરમ: કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે જમ્મુ-કાશ્મીર જતા ભાજપના 36 મંત્રીઓને ડરપોક ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, આમાથી 31 મંત્રીઓ જમ્મુ જ્યારે 5 જ કાશ્મીર જવાના છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિશે મલપ્પુરમમાં અય્યરે કહ્યું કે, મોદી સરકારના આ મંત્રીઓ કાયર છે. તેમણે સવાલ પૂછવાના અંદાજમાં કહ્યું કે, આ મંત્રીઓ ત્યાં જઈને કોની સાથે વાત કરશે? શું પૂર્વ મંત્રીઓ સાથે? તેઓ આવું ન કરી શકે, કારણકે ત્યાં તો બધાની અટકાયત કરી લેવામાં આવી છે. ફારુક અને ઉમર અબ્દુલા અને મહેબુબા મુફ્તી જેલમાં છે.
સત્તાનો નશો તેમના માથે ચડી ગયો છે
લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી ભારે બહુમતીનો ઉલ્લેખ કરીને અય્યરે કહ્યું છે કે, આ લોકો ઘમંડી છે. સત્તાનો નશો તેમના માથે ચડી ગયો છે. તેમના માટે આ ખૂબ સારો મોકો છે. કારણકે ફરી તેમને 303 સીટો તો મળવાની નથી. જમ્મુ-કાશ્મીરમાં આ લોકો એક નવો રાજકીય વર્ગ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ પાસે ખીણ વિસ્તારમાં એક વોટ પણ નથી. આ લોકો દગાખોર છે અને જનતાના પ્રતિનિધિ નથી. જો હોત તો બહુ પહેલાં જ ચૂંટાઈ ગયા હોત.
ભાજપના લોકો શાહીન બાગ જતા કેમ ડરે છે
CAA-NRC મુદ્દે થઈ રહેલા પ્રદર્શન વિશે અય્યરે કહ્યું છે કે, ભાજપના નેતાઓ શાહીન બાગ જતા કેમ ડરે છે? 34 દિવસોથી તેઓ ભારતના ધર્મના નામે ભાગલા પાડવાના આ પ્રયત્ન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપને એટલા માટે બહુમતી મળી છે કારણકે તેમણે કહ્યું હતું કે, અમે સૌનો સાથ-સૌનો વિકાસ કરીશું. પરંતુ તેમણે શું કર્યું- સૌનો સાથ-સૌનો વિનાશ. 15 ડિસેમ્બરથી દિલ્હીના શાહીનબાગમાં CAA-NRC વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે.
18-25 સુધી મંત્રીઓની જમ્મુ-કાશ્મીર મુલાકાત
કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પહેલીવાર સ્થિતિની માહિતી મેળવવા માટે અને લોકસંપર્ક વધારવા 36 મંત્રીઓ જમ્મુ-કાશ્મીર જવાના છે. મંત્રીઓનો એક સપ્તાહનો પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થયો છે. કાશ્મીર ખીણમાં માત્ર પાંચ મંત્રી જી કિશન રેડ્ડી, રવિશંકર પ્રસાદ, શ્રીપદ નાઈક, નિરંજન જ્યોતિ અને રમેશ પોખરિયાલ જવાના છે. જ્યારે બાકીના મંત્રીઓ જમ્મુના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરશે.