કાશ્મીરમાં PMOના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યોરિટી લઈને ફરતા કિરણ પટેલનાં અનેક કારનામાં બહાર આવ્યાં હતાં
અમદાવાદ: PMO અધિકારી તરીકેની
ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ કારમાં ફરનારા કિરણ પટેલની પત્ની માલિની પટેલની
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે પોતાના સંબંધીને ત્યાં જંબુસર હતી
ત્યારે ઝડપાઈ હતી. સિંધુભવન રોડ પરના જગદીશપુરમ્ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની
ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેના પતિ એવા મહાઠગ કિરણ પટેલને 31મી માર્ચે
ટાન્સફર વોરંટથી અમદાવાદ લવાશે.
સ્વામીનારાયણ મંદિર કાર પણ બારોબર વેચી દીધાની ફરિયાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP
ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે માલિની પટેલ સામે
ફરિયાદ થતાં જ ફરાર થઈ ગઈ હતી. બંગલા પર કબજાની ફરિયાદને પગલે જંબુસરથી માલિની
પટેલની ધરપકડ કરવામાં આવી છે. કિરણ પટેલ સાથે માલિની પટેલ પણ સામેલ છે. જમ્મુમાં
પણ તે બંને સાથે ગયાં હતાં. બધી જ જગ્યાએ બંને સાથે રહેતાં હતાં. જ્યારે ફરિયાદ
નોંધાઇ ત્યારે નડિયાદ ત્યાર બાદ જંબુસર ગઈ હતી. 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં સ્વામિનારાયણ મંદિરમાં કાર બરોબર વેચી દેવાના
કેસમાં માલિની સામે ફરિયાદ થઈ હતી. માલિનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કિરણ
પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે 31 માર્ચ બાદ અમદાવાદ લાવવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચે
જંબુસરથી ધરપકડ કરી
કાશ્મીરમાં PMOના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યોરિટી લઈને ફરતા કિરણ પટેલનાં અનેક
કારનામાં બહાર આવ્યાં હતાં. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક
ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નવા PMOના અધિકારીની
ઓળખ આપી બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને
નોટિસ મોકલી હતી. એ મામલે પૂર્વમંત્રીના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને
તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ માલિની
ફરાર થઇ ગઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે.
જવાહર ચાવડાના ભાઈએ ફરિયાદ કરી હતી
ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિર્ઝાપુર કોર્ટની નોટિસ મળી હતી,
જેમાં કિરણ પટેલ અને માલિની પટેલે બંગલા માટે દાવો
કર્યો હતો, જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને
તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે
ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાતાં માલિની તેના ઘરેથી ફરાર થઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા
શોધખોળ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળતાં માલિની પટેલની
જંબુસરથી તેના સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે. માલિની પટેલને અત્યારે અમદાવાદ ક્રાઈમ
બ્રાન્ચ ખાતે લાવવામાં આવી છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ
પટેલને પણ અમદાવાદ લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો
શિલજમાં રહેતા જગદીશ ચાવડા જમીન લે-વેચનું કામ કરે
છે. શિલજમાં નીલકંઠ બંગલોઝમાં જગદીશભાઈનો બંગલો આવેલો છે,
જે વેચવા માટે તેમણે પરિચિત લોકો સાથે ફેબ્રુઆરી 2022માં વાતચીત કરી હતી. એ વાત ઠગ
કિરણ પટેલ સુધી પહોંચતાં તેણે બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો હતો. કિરણ પટેલે
જગદીશ ચાવડાનાં પત્ની ઇલાબેનને ફોન કરીને બંગલો વેચવાનો હોય તો પોતે લે-વેચનું કામ
કરે છે એવું જણાવ્યું હતું.