નડિયાદ રેલવે ક્વાટર્સમાં રહેતાં પોલીસ જમાદારના પુત્રવધૂએ મંગળવારે મોડી રાત્રિના સુમારે રેલવે સ્ટેશન નજીક રાણકવાવ એક્સપ્રેસ નીચે મોતની છલાંગ લગાવી આપઘાત વ્હોરી લીધો હતો
નડિયાદ: નડિયાદ રેલવે ક્વાટર્સમાં રહેતાં
પોલીસ જમાદારના પુત્રવધૂએ મંગળવારે મોડી રાત્રિના સુમારે રેલવે સ્ટેશન નજીક
રાણકવાવ એક્સપ્રેસ નીચે મોતની છલાંગ લગાવી આપઘાત વ્હોરી લીધો હતો. જેની જાણ થતાં રેલવે
પોલીસે આત્મહત્યાની નોંધ કરી વધુ તપાસ આદરી છે. 2 સંતાનની માતાએ હાથ પર મોતનું કારણ
લખ્યું હતું, જોકે સ્પષ્ટ વંચાતું ન હોવાથી ગુરુવારે તેના પિતાને બોલાવી
લખાણ વંચાવાશે પછી કારણ જાણી શકાશે.
નડિયાદ રેલવે
પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મણીલાલ સુખાભાઇ સોલંકી રેલવે
કોલોનીમાં ક્વાર્ટર નં.112/28માં પત્ની તથા પુત્ર નરેન્દ્રસિંહ
અને પુત્રવધૂ ગીતાબેન તેમજ બે પૌત્ર પાર્થ અને રાજવીર સાથે રહે છે. ગઇરાત્રિના
ઘરના સૌ સૂઇ ગયા હતા. દરમિયાનમાં પુત્રવધૂ ગીતાબેન નરેન્દ્રસિંહ સોલંકી (ઉવ.26)એ મંગળવારે
રાત્રિના 1/50 કલાકે રેલવે સ્ટેશન પરથી પસાર થતી
અમદાવાદ-રાણકપુર એક્સપ્રેસ ટ્રેન નં.14707 અપ નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી
લીધી હતી. જેની જાણ ફરજ પરના સ્ટેશન માસ્તરે રેલવે પોલીસમથકને કરી હતી. જેને પગલે
પોલીસે સ્થળ પર જઇ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી
આત્મહત્યાની નોંધ કરી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓ.આઇ.સિદ્દી ચલાવી રહ્યા છે.
આ બનાવની જાણ
થતાં મૃતક ગીતાબેનના સસરા મણીલાલ સોલંકી તથા પતિ નરેન્દ્રસિંહ સહિતના પરિવારજનો
દોડી ગયા હતા અને ગીતાબેનનો મૃતદેહ જોઇ હેબતાઇ ગયા હતા. રેલવે PSI ઓ.આઈ. સિદ્દીએ
જણાવ્યું હતું કે, રેલવે જમાદારના પુત્રવધૂ ગીતાબેન સોલંકીએ આપઘાત કરતાં
પહેલાં જમણા હાથ પર મરવાનું કારણ લખેલું હોવાનું વંચાય છે, પરંતુ અસ્પષ્ટ
હોવાથી શું કારણ છે તે જાણી શકાયું નથી. મૃતક ગીતાબેનના પિતા વજેસિંહ ગુરુવારે હાથ
પરનું લખાણ વાંચ્યા બાદ મૃતકના પિતા પુત્રીના સાસરિયા સામે ત્રાસ અંગેની ફરિયાદ
આપશે.