દેવગઢ બારિયા બેઠક પર એનસીપી ઉમેદવાર તરીકે ગોપસિંહ લવારની પસંદગી કરાઈ હતી
ગુજરાત વિધાનસભા
ચૂંટણીમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન થયું હતું. જોકે, દેવગઢ બારિયાની બેઠક પર
ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો. તે ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું
હતું. દેવગઢ બારિયા બેઠક પર ભાજપ સાથે એનસીપીએ ગોઠવણ કરી હોવાનો આક્ષેપ આજે
એનસીપીના નેતા વિજય યાદવે કર્યો છે.
યાદવે એનસીપીના
ગુજરાતના પ્રમુખ જયંત પટેલ ઉર્ફે બોસ્કી પર આક્ષેપ કર્યો છે કે, દેવગઢ બારિયાની બેઠક પર
8થી 10 કરોડ રૂપિયામાં સોદો થયો છે. જેમાં ગોપસિંગ લવાર નામના ઉમેદવારની એનસીપી
દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ગોપસિંગ ભાજપના ઉમેદવાર બચુ ખાવડનો ખાસ માણસ હતો
અને એનસીપીએ તેને ઉમેદવાર તરીકે ત્યાં જાહેર કર્યો. બાદમાં 21મીએ બપોરે ગોપસિંગ
દ્વારા ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, આ સમગ્ર ગોઠવણ હતી.
NCPના રાષ્ટ્રીય
મહામંત્રીના ગંભીર આરોપ
NCPના રાષ્ટ્રીય મહામંત્રી વિજય યાદવે જણાવ્યું હતું કે, એનસીપીમાંથી દેવગઢ
બારિયા બેઠક માટે હું છેલ્લા એક-બે વર્ષથી મહેનત કરતો હતો અને મારું નામ ઉમેદવાર
તરીકે જાહેર થવાનું હતું. જ્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રણ બેઠકો ઉપર ગઠબંધન
થયું ત્યારે દેવગઢ બારિયા બેઠક પરથી મારું નામ જાહેર થવાની જગ્યાએ કોંગ્રેસના કોઈ
ત્યાંના સરપંચ નવલસિંહ પસાયાને ઉમેદવાર તરીકે જાહેર કરવાના હતા. પરંતુ તેની જગ્યાએ
ઉમેદવાર બદલી અને ગોપસિંગ લવાર નામના વ્યક્તિ જે ભાજપનો બક્ષીપંચ મોરચાનો દેવગઢ
બારિયાનો પ્રમુખ છે. તેને મેન્ડેટ આપી દેવામાં આવ્યું હતું અને જ્યારે તેને ઉમેદવાર
તરીકે જાહેર કરી અને મેન્ડેટ આપવામાં આવ્યો ત્યારે પણ મેં વિરોધ કર્યો હતો. છતાં
પણ તેણે ફોર્મ ભર્યું અને ત્યારબાદ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેણે ફોર્મ પરત
ખેંચી લીધું હતું.
એક બેઠક આવી રીતે
ગુમાવી દેવી પડી
એનસીપીના પ્રમુખ જયંત બોસ્કી અને ભાજપના બચુ ખાવડના ખાસ માણસ ગોપસિંગ લવાર
વચ્ચે 8થી 10 કરોડ રૂપિયાનો સોદો થયો હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ રીતે શોધો કરી અને એક
બેઠક ગુમાવી પડી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે હું રાષ્ટ્રીય
પ્રમુખ શરદ પવાર અને ઉપપ્રમુખ પ્રફુલ પટેલને પણ ફરિયાદ કરીશ અને તેના માટે અમે
પત્ર લખવાના છીએ અને આ બાબતના અમે પુરાવા પણ રજૂ કરીશું. આ બાબતે જો કોઈ નિર્ણય
નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતૃત્વને પુરાવા આપીશું. ગુજરાત
એનસીપીમાંથી અમે રાજીનામું નહીં આપીએ, પરંતુ અમે રાષ્ટ્રીય
નેતૃત્વ સુધી અમારી વાત પહોંચાડીશું.
2007માં એનસીપીના ધારાસભ્ય
તરીકે તુષાર બાબા ચૂંટાયા હતા
આ બેઠક પર ભૂતકાળમાં વર્ષ 2007માં કોંગ્રેસ અને એનસીપીએ ચૂંટણી સમજૂતી કરી હતી. તે વખતે
દેવગઢ બારિયાના રાજવી પરિવારના તુષારસિંહ મહારાઉલ એનસીપીના ઉમેદવાર તરીકે લડ્યા
હતા અને તેઓએ ભાજપાના વિજય પટેલને પરાજય આપ્યો હતો. તે વખતે પણ કોંગ્રેસે
અનેસીપીને ત્રણ બેઠકો જ ફાળવી હતી.
ગોપસિંહે ફોર્મ ખેંચતા
ગઠબંધન પર સવાલો ઊઠ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ત્રણ બેઠક પર કોંગ્રસ અને એનસીપી વચ્ચે
ગઠબંધન થયું હતું. જેમાં નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારિયા બેઠકનો સમાવેશ થાય છે. બીજા
તબક્કાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના
એનસીપી ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી ફોર્મ પાછું ખેચ્યું હતું. મહત્ત્વની બાબત
એ છે કે ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં 3 બેઠકો એનસીપીને ફાળવી
હતી. જેમાં દેવગઢ બારિયા બેઠક પર એનસીપી ઉમેદવાર તરીકે ગોપસિંહ લવારની પસંદગી કરાઈ
હતી. જ્યારે અંતિમ દિવસે ગોપસિહ લવારએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા રાજકારણ
ગરમાયું છે.
ભાજપે બચુ ખાબડને મેદાનમાં ઉતાર્યા છે
દેવગઢ બારિયા બેઠક ભાજપાનો ગઢ છે. કારણ કે સતત બે
ટર્મથી ભાજપ અહીં જંગી સરસાઇથી જીતી રહ્યો છે. ભાજપાના ઉમેદવાર બચુ ખાબડને હાલમાં
પાર્ટીએ રિપીટ કર્યા છે. તેઓ 2012માં 85,000 તેમજ 2017માં 45,000 લીડ સાથે વિજેતા થયા હતા. 2012માં તેઓ ગુજરાતમાં બીજા નંબરે
મહત્તમ સરસાઇથી વિજય મેળવનાર ધારાસભ્ય હતા. ત્યારે પ્રથમ ક્રમે આનંદીબેન પટેલ એક
લાખ મતો કરતાં વધારે લીડથી વિજયી થયાં હતાં.