• Home
  • News
  • ન્યૂઝીલેન્ડે 1-0થી સિરીઝ જીતી લીધી:ત્રીજી વન-ડે મેચ પણ વરસાદના કારણે રદ્દ થઈ, 2019થી કિવી ટીમ ઘરઆંગણે સિરીઝ હાર્યું નથી
post

પહેલી વન-ડે મેચમાં 7 વિકેટે શાનદાર જીત મેળવતા ન્યૂઝીલેન્ડે 1-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-30 19:25:22

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાઈ હતી. પણ ત્રીજી વન-ડે પણ ન્યૂઝીલેન્ડની ઇનિંગની 18 ઓવર સુધીની જ રમત શક્ય બની હતી. આ પછી વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ત્રીજી વન-ડે મેચને રદ્દ કરવાનો નિર્ણય અંપાયર્સે લીધો હતો. પહેલી વન-ડે મેચમાં 7 વિકેટે શાનદાર જીત મેળવતા ન્યૂઝીલેન્ડે 1-0થી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી.

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના બોલર્સે સારી શરૂઆત કરી હતી. જોકે કિવી ટીમના બન્ને ઓપનર્સે ઇનિંગને સંભાળી હતી, અને મકક્મતાથી સામનો કરીને શાનદાર બેટિંગ કરી હતી. ફિન એલને શાનદાર ફિફ્ટી મારી હતી. તે ઉમરાન મલિકની બોલિંગમાં આઉટ થયો હતો. ફિન એલન અને ડેવોન કોનવે વચ્ચે 97 રનની પાર્ટનરશિપ થઈ હતી. હાલ વરસાદના કારણે મેચને રોકવી પડી હતી. કિવી ટીમને સ્કોર 18 ઓવરમાં 104/1 રહ્યો હતો.

અગાઉ ટીમ ઈન્ડિયા 47.3 ઓવરમાં 219 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડને 220 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાનો આમ તો ધબડકો થયો હતો. શ્રેયસ અય્યર અને વોશિંગ્ટન સુંદરે ટેઇલેન્ડર્સ સાથે મળીને ભારતના સ્કોરને 219 રન સુધી પહોંચાડ્યું હતું. વોશિંગ્ટન સુંદરે 64 બોલમાં 51 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 59 બોલમાં 49 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી એડમ મિલ્ને અને ડેરિલ મિચેલે 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે ટિમ સાઉધીએ 2 અને ચિમેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યુસનને 1-1 વિકેટ મળી હતી.

કિવી ટીમ 2019થી ઘરઆંગણે એકપણ સિરીઝ હારી નથી
ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઘરઆંગણે વન-ડે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. કિવી ટીમે 2019 પછી ઘરઆંગણે એક પણ વન-ડે સિરીઝ ગુમાવી નથી. 2019માં તેઓએ ભારતે 4-1થી હરાવ્યું હતું. ત્યારથી ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને બે વાર અને ભારત અને નેધરલેન્ડ્સને એક-એક વાર 3-0ના માર્જિનથી હરાવ્યું છે. હવે આ વખતે પણ ભારત સામેની 3 મેચની વન-ડે સિરીઝ 1-0થી જીતી લીધી હતી.