ચંદ્રયાન-2, વિક્રમ સાથે સંપર્ક નથી થઇ રહ્યો, ઇસરો હવે આગામી મિશન માટે તૈયારીઓ કરી રહ્યું છે
ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-2 મિશન મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે, ચંદ્ર પર રાત શરૂ થઇ ગઇ છે તે સાથે જ વિક્રમ સાથે સંપર્કની આશા લગભગ પુરી થઇ ગઇ છે, ISRO ચીફ સિવને કહ્યું છે કે, વિક્રમની સાથે સંપર્ક થઇ શક્યો નથી, હવે ઇસરો આગામી સ્પેસ મિશન ગગનયાન પર ધ્યાન કેન્દ્રીત કરશે, વિક્રમ લેન્ડરનું જીવનકાળ ચંદ્ર પર 1 દિવસ એટલે ધરતીના 14 દિવસ બરાબર હતુ, 7 સપ્ટેમ્બરના રોજ સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ થયા બાદ ચંદ્ર પર પડેલા લેન્ડરનું જીવનકાળ શનિવારે પુરુ થઇ ગયું છે, ચંદ્ર પર રાત થયા પછી લેન્ડરમાં લાગેલી બેટરી ચાર્જ થશે નહીં અને એક વખતે સ્લીપ મોડમાં ગયા પછી ફરીથી તે સક્રિય થાય તેમ નથી, ચંદ્ર પર તાપમાન -273 ડિગ્રી સુધી નીચે પહોંચી જાય છે. લેન્ડર અને તેની અંદરના રોવર પર જે ઉપકરણો લાગ્યા છે, તે આ તાપમાનમાં કામ કરી શકે તેમ નથી, ફરીથી લેન્ડરનો સંપર્ક કરવા 14 દિવસ મહત્વના હતા, તે પુરા થઇ ગયા છે, માટે ISROએ આવી સ્પષ્ટતા કરવી પડી છે.
ISRO ચીફ સિવને કહ્યું છે કે, ઓર્બિટરમાં રહેલા 8 ઉપકરણો પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યાં છે, ઇસરોને તેનાથી ફોટોગ્રાફ પણ મળી રહ્યાં છે, ઓર્બિટર પર 8 એડવાન્સ પેલોડ છે જે ચંદ્રનું 3D મેપિંગ કરી રહ્યાં છે, દક્ષિણ ધ્રુવ પર પાણી, બરફ અને મિનરલ્સ શોધી રહ્યાં છે અને આગામી એક વર્ષ સુધી તે કામ કરશે.જો કે તેમાં ઇંધણ વધુ હોવાથી તે વધુ સમય કામ કરવા સક્ષમ છે.