ફક્ત 2200 લોકો જ એવા છે કે જે પોતાની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધારે બતાવે છે
નવી દિલ્લી : નરેન્દ્ર મોદીની સરકાર કરદાતાઓની સંખ્યા વધારવાના સતત પ્રયત્નો કરી રહી હોવા છતાં આવકવેરો ભરનારાઓની સંખ્યા ઓછી છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરદાતાઓની સંખ્યા વધારવા પર ભાર મૂકી રહ્યાં છે. બુધવારે એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ઇનકમ ટેક્સ અંગે આંકડા જારી કર્યા હતાં જેની વિપક્ષ ટીકા કરી રહ્યો છે.
બુધવારે મોદીએ જણાવ્યું હતું કે 3 કરોડથી વધુ લોકો બિઝનેસના કામ માટે વિદેશ ગયા હોવા છતાં 130
કરોડમાંથી ફક્ત 1.5
કરોડ લોકો જ આવકવેરો ભરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 50 લાખ રૂપિયાથી વધુની આવક જાહેર કરનારા કરદાતાઓની સંખ્યા માત્ર ત્રણ લાખ છે. ફક્ત
2200 લોકો જ એવા છે કે જે પોતાની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધારે બતાવે છે.
મોદીએ રજૂ કરેલા આ આંકડાઓ અંગે વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો છે. વિપક્ષનો આરોપ છે કે વડાપ્રધાન મોદી કરદાતાઓની સંખ્યા ઓછી બતાવી રહ્યાં છે. સીપીઆઇના મહાસચિવ સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અનુસાર પ્રત્યેક ભારતીય ચોર છે. જ્યારે તેમના પક્ષ ભાજપે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ગુપ્ત રીતે કરોડો રૂપિયા એકત્ર કરી લીધા છે. તેમણે વડાપ્રધાન મોદીને પ્રશ્ર કર્યો છે કે જો કોઇ પણ વ્યકિત ટેક્સ ભરી રહી નથી તો સ્વયં મોદી છેલ્લા છ વર્ષથી શું કરી રહ્યાં છે? શું તેમણે નોટબંધી અમલમાં મૂકતી વખતે દાવો કર્યો ન હતો કે આનાથી બ્લેક મની અને કર ચોરી પર બ્રેક લાગશે?
આ વિવાદ વચ્ચે સીબીડીટી તરફથી વડાપ્રધાનના નિવેદન અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સીબીડીટીએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન
5.78 કરોડ લોકોએ વર્ષ 2018-19ની આવક જાહેર કરી છે. જેમાંથી
1.03 કરોડ લોકોએ 2.5 લાખ રૂપિયાથી ઓછી આવક દર્શાવી છે.
3.29 કરોડ લોકોએ 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક દર્શાવી છે.
એટલે કે
5.78 કરોડ રિટર્નમાંથી 4.32 કરોડ રિટર્નમાં પાંચ લાખ સુધીની આવક દર્શાવવામાં આવી છે. આ એ લોકો છે જેમને પાંચ લાખ રૂપિયાની આવક પર ટેક્સ છૂટનો લાભ મેળવે છે અને તેઓ પણ કોઇ આવકવેરો ભરતા નથી એટલે કે વાસ્તવમાં પાંચ લાખથી વધુની આવક ધરાવતા ફક્ત
1.46 કરોડ લોકો જ આવકવેરો ભરે છે.