આર્યન ખાન માટે શાહરુખ-ગૌરી ખાને કડક નિયમો બનાવ્યા
NCB (નાર્કોટિક્સ કંટ્રોલ
બ્યુરો)એ 2 ઓક્ટોબરના રોજ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાનની અટકાયત કરી હતી અને ત્રીજી
ઓક્ટબરે ધરપકડ કરવામાં આવી હતી. 8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે. આજે 26 ઓક્ટોબરના રોજ આર્યન
ખાનની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થશે. આ દરમિયાન શાહરુખ તથા ગૌરીએ
દીકરા અંગે કેટલાંક આકરા નિર્ણયો લીધા છે.
શાહરુખ-ગૌરીએ શું નક્કી
કર્યું?
વેબ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'ના અહેવાલ પ્રમાણે, શાહરુખ તથા ગૌરીએ નક્કી કર્યું છે કે જ્યારે આર્યન ખાન જેલમાંથી બહાર આવશે
એટલે બેથી ત્રણ મહિના તેને ઘરમાં જ રાખશે. એક્ટરના નિકટના મિત્રે કહ્યું હતું કે
શાહરુખ-ગૌરીને ખ્યાલ નથી કે તેમના દીકરો દોષિત છે કે નહીં, તેઓ જેમ બને તેમ જલદી
આર્યનને ઘરે લાવવા ઈચ્છે છે. ઘરે આવ્યા બાદ તેઓ થોડાંક મહિના આર્યનને ઘરમાં જ
રાખશે.
આર્યન કોઈ પાર્ટીમાં
નહીં જઈ શકે
વધુમાં શાહરુખના મિત્રે કહ્યું હતું કે આર્યન કોઈ પાર્ટીમાં જઈ શકશે નહીં, લેટ નાઇટ બહાર નહીં
નીકળી શકે, ફ્રેન્ડ સાથે પણ ક્યાંય જઈ શકશે નહીં. કોઈ જાતનું ગેટ-ટુગેધર થશે નહીં. શાહરુખ
તથા ગૌરીએ નક્કી કર્યું છે કે તેઓ આર્યન કોને કોને મળે છે તે તમામ પર ચાંપતી નજર
રાખશે. આર્યન માટે મુશ્કેલી ઊભી કરે તેવી વ્યક્તિને તેઓ દૂર જ રાખશે.
આર્યનની ધરપકડથી ભાંગી
પડ્યા છે શાહરુખ-ગૌરી
શાહરુખ તથા ગૌરી દીકરા માટે વધુ પ્રોટેક્ટિવ થઈ રહ્યા છે. આર્યનની ધરપકડથી
શાહરુખ-ગૌરી એકદમ ભાંગી પડ્યા છે. તેઓ દિવસ-રાત બસ ભગવાનને એ જ પ્રાર્થના કરે છે
કે આર્યન જલદીથી ઘરે આવે. શાહરુખ-ગૌરી ના શાંતિથી જમી શકે છે કે ના તો ચેનથી સૂઈ
શકે છે.
જેલમાં આર્યનના હાલ
કેવા છે?
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, આર્યન ખાનની બેવાર જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ જ વાતથી તે ઘણો જ ઉદાસ
થઈ ગયો હતો. જેલ અધિકારીઓએ આર્યનને બુક્સ વાંચવાની સલાહ આપી હતી. આથી જ આર્યને
બુક્સ વાંચવાનું નક્કી કર્યું હતું.
બે બુક્સ લીધી
આર્યને જેલમાંથી બે બુક્સ લીધી છે, જેમાંથી એક 'ગોલ્ડન લાયન' તથા એક બુક રામ સીતા પર
આધારિત છે. ઉલ્લેખનીય છે કે 'ગોલ્ડન લાયન' ઓથર વિલબર સ્મિથ તથા
ગીલ્સ ક્રિસ્ટને લખી છે. આ બુક 2015માં લૉન્ચ થઈ હતી.
જેલમાં આર્યન માત્ર બિસ્કિટ ખાય છે
16 ઓક્ટોબરે
જેલમાંથી છૂટેલા કેદી શ્રવણ નડારે દિવ્ય ભાસ્કરને આ અંગે વાત કરી હતી. શ્રવણ
છેતરપિંડી કેસમાં છ મહિનાથી આર્થર રોડ જેલમાં બંધ હતો. જ્યાં આર્યન ખાનને રાખવામાં
આવ્યો છે, એ જ બેરકમાં શ્રવણ હતો.
આર્યનને ભોજન આપવાની ડ્યૂટી શ્રવણની હતી. શ્રવણે કહ્યું હતું કે આર્યને માત્ર
પહેલાં જ દિવસે જેલની ચા પીધી હતી. એ ચા તેણે જ આપી હતી. આ ઉપરાંત તેણે કંઈ ખાસ
ખાધું નહોતું. તે કેન્ટીનમાંથી બિસ્કિટ, ચિપ્સ લે છે. બિસ્કિટને પાણીમાં ડુબાડીને ખાય છે અને આવું તેણે અનેકવાર જોયું
છે. તે જેલનું નહીં, પણ કેન્ટીનમાંથી લીધેલું પાણી પીએ છે.