• Home
  • News
  • અમદાવાદના ઇસ્કોનબ્રિજ પરથી રિક્ષાચાલક વૃદ્ધે કૂદકો માર્યો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
post

આ મામલે પોલીસે અકસ્માતે મોતનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:03:00

અમદાવાદ: અમદાવાદના SG હાઈવેના ઇસ્કોનબ્રિજ પર આજે બપોરે એક સિનિયર સિટિઝને મોતની છલાંગ લગાવી હતી. નીચે પડતાંની સાથે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ટ્રાફિક સિગ્નલ ખૂલ્યા બાદ બ્રિજ નીચેથી ભરચક વાહનો પસાર થઈ રહ્યાં હતાં. આ સમયે જો આ સિનિયર સિટિઝન કોઈ વાહનચાલક પર પડ્યા હોત તો તેમને પણ ગંભીર ઇજા થઈ હોત. વૃદ્ધની મોતની છલાંગના સમગ્ર બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે.

શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા માંગીલાલ ખટિક આજે સવારે પોતાના ઘરેથી કામ છે, એમ કહીને રિક્ષા લઈને નીકળ્યા હતા. તેઓ ઘણા સમયથી બીમારીથી પરેશાન હતા. આ સમયે તેઓ ઇસ્કોનબ્રિજ પર પહોંચ્યા ત્યારે તેમની રિક્ષા ત્યાં ઊભી રાખીને બ્રિજ ઉપરથી કૂદકો માર્યો હતો.

વૃદ્ધે બ્રિજ પરથી મોતનો કૂદકો માર્યો
ભરબપોરે માંગીલાલે બ્રિજ ઉપરથી કૂદકો મારતાં તેઓ નીચે પટકાયા હતા અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તેઓ જ્યારે બ્રિજ ઉપરથી કૂદ્યા ત્યારે એ સમયે નીચે અનેક ટૂ-વ્હીલર અને બીજાં વાહનો પસાર થઈ રહ્યાં હતાં. તેઓ જો કોઈ વાહનચાલક પર પડ્યા હોત તો નીચે પસાર થતા લોકોને પણ ગંભીર ઈજા થઈ હોત. આ સમગ્ર મામલાનો સીસીટીવી સામે આવ્યા છે, જેમાં તેઓ ભરચક ટ્રાફિકમાં નીચે પડતા દેખાઈ રહ્યા છે.

આપઘાત બાદ સ્વજનો પણ ઈસ્કોનબ્રિજ દોડી ગયા
આ બનાવની જાણ થતાં પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં માંગીલાલના સ્વજનો ત્યાં આવી પહોંચ્યા હતા. જેમણે પોલીસને જણાવ્યું હતું કે માંગીલાલ ઘણા સમયથી બીમાર હતા અને તેઓ આત્મહત્યા કરશે એવું જરા પણ લાગતું ન હતું. તેઓ રાબેતા મુજબ સવારે પોતાની રિક્ષા લઈને નીકળ્યા હતા અને તેમના આત્મહત્યા કરવાના સમાચાર ઘરે આવ્યા હતા.

આપઘાતના બનાવ બાદ ટ્રાફિકજામ થયો
આ મામલે પોલીસે અકસ્માતે મોતનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ વિસ્તારમાં બનેલા બનાવને કારણે આસપાસના લોકો એકઠા થવા લાગ્યા હતા અને મારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post