જસપાલસિંહે ઉર્જામંત્રી અને CMને પત્ર લખી રજૂઆત કરી
કિસાન સૂર્યોદય યોજનાના પાદરાના કાર્યક્રમમાં ધારાસભ્ય
જસપાલસિંહનું નામ આમંત્રણ પત્રિકામાંથી ગાયબ થતા તેમજ આમંત્રણ નહીં મળતા સરકારી
કાર્યક્રમ સામે ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી. આ બાબતે ઉર્જામંત્રીના સચિવ અને
મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે પાદરામાં કિસાન
સૂર્યોદય યોજનાનો શુભારંભ થતાં પહેલા જ વિવાદમાં આવી ગયો છે. કાર્યક્રમમાં પાદરાના
ધારાસભ્ય જસપાલસિંહનું નામ આમંત્રણ પત્રિકામાંથી ગાયબ થતા તેમજ આમંત્રણ નહીં મળતા
ધારાસભ્યએ ઉર્જામંત્રીના સચિવ અને મુખ્યમંત્રીને પત્ર લખી નારાજગી વ્યકત કરી હતી.
જેમાં જણાવ્યા મુજબ કિસાન સૂર્યોદય યોજનાનો પાદરા તાલુકા
ખાતે 11 જાન્યુઆરીના
રોજ શુભારંભ થવા જઈ રહ્યો છે. આ સરકારી કાર્યક્રમ હોઈ તથા સરકારી પ્રજાના નાણાં
વાપરવાના હોય રાજ્ય સરકારના મંત્રી, ચૂંટાયેલા સાંસદ, રાજ્ય સરકારના અધિકારી નામો સામે
વાંધો ન હોય. પાદરા વિધાનસભા વિસ્તારની જનતાએ જનપ્રતિનિધિ તરીકે આશીર્વાદ આપી આ
વિસ્તારની સેવા કરવા ધારસભ્ય તરીકે ચૂંટ્યો છે. આ સરકારી કાર્યક્રમ મારા
વિસ્તારમાં યોજાવા જઈ રહ્યો છે.
ત્યારે નિમંત્રણ પત્રિકામાં જનપ્રતિનિધિ તરીકે અમારું નામ
પડતું મુકી પ્રજાનું અપમાન કેમ? જો કમલમની તિજોરીમાંથી પૈસા વાપરવાના હોય તો વાંધો ન હોય પણ
સરકારી નાણાં વાપરવાના હોય તો રાજકીય પાર્ટીના હોદ્દેદારો,પદાધિકારી ન હોવાં છતાં ક્યા
પ્રોટોકોલથી નિમંત્રણ પત્રિકામાં નામો છે? આ નિમંત્રણ પત્રિકાનો પ્રિન્ટીંગ
ખર્ચ તથા કાર્યક્રમનો ખર્ચ ક્યા હેડથી પાડવાનો? કોન ઉપાડવાનું છે? આ તમામ બાબતે આપ વહેલી તકે ખુલાસો
આપશો.ધારાસભ્યના જણાવ્યા પ્રમાણે અધિકારીઓ ડહાપણ કરી સરકારને વહાલા બનવા આ
પ્રકારની કામગીરી કરે છે.