પાટીદાર નેતા હાર્દિક પટેલ આમેય છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને અકળામણ અનુભવી રહ્યા હતા
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના
એક સમયના મશાલચી હાર્દિક પટેલ લાંબી અટકળો બાદ ભાજપમાં જોડાયા. આ ઘટનાના એક જ
મહિનામાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પણ રાજકારણમાં ન જોડાવાનો નિર્ણય જાહેર કરી
દીધો. કોંગ્રેસમાં જાઉં-જાઉં કરતા નરેશભાઈએ આમ અચાનક રાજકીય ઈચ્છાઓનો સંકેલો કરી
લીધો તેનાથી સમાજ અને રાજકીય નેતાઓ ગણગણાટ શરૂ થયો છે. આ બધાને લાગે છે હાર્દિકને ‘સેટ કરવા’ માટે જ નરેશ પટેલ
રાજકારણની વાતો કરતા હતા. હવે કામ થઈ ગયું એટલે રાજકારણની એકદમ ના પાડી દીધી. આ
સ્થિતિ કંઈક રંધાઈ ગયું હોય એ તરફ ઈશારો કરે છે.
નરેશભાઈની સાથે PKએ પણ હાર્દિકને મદદ કરી
પાટીદાર નેતા હાર્દિક પટેલ આમેય છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને
અકળામણ અનુભવી રહ્યા હતા. તે જ હાર્દિક પટેલે અચાનક નરેશ પટેલ સાથે મુલાકાતો વધારી
દીધી હતી. એટલું જ નહીં, પ્રશાંત કિશોર પણ હાર્દિક પટેલનું સમર્થન કરી રહ્યા હતા. હાર્દિક અને કોંગ્રેસ
વચ્ચેની મૂંઝવણ દૂર કરવા નરેશ પટેલ અને પ્રશાંત કિશોરે પણ ક્યાંકને ક્યાંક મહેનત
કરી હતી. તેની સાથે સાથે હાર્દિક પહેલા પ્રશાંત કિશોરે કોંગ્રેસને સાથ આપવાની ના
પાડી દીધી હતી. આમાં જ કોંગ્રેસમાં ત્રણેયની બાજી બગડ્યાનું મનાય છે.
કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ સાથે સતત સંપર્કમાં રહેતા
બીજી બાજુ નરેશ પટેલ પણ કોંગ્રેસના મોટા નેતાઓથી
લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે સતત સંપર્કમાં રહેતા હતા. તે સમયે એવું કહેવાતું કે નરેશ પટેલ પોતાના
રાજકીય પ્રવેશ માટે દોડધામ કરી રહ્યા છે. પરંતુ 16
જૂને નરેશ પટેલે રાજકારણમાં જોડાવવાની ના પાડી દેતા
રાજકીય વિષ્લેશકો માની રહ્યા છે કે, નરેશ પટેલ આટલો ટાઈમ હાર્દિકને જ સેટ કરવામાં વ્યસ્ત હતા. હાર્દિક પટેલ
ભાજપમાં જોડાયાના એક જ મહિનામાં નરેશ પટેલે અટકળોનો અંત લાવી રાજકારણમાં ન
જોડાવવાની જાહેરાત કરી હતી.