પુરાતત્વ વિભાગ અને ભારત સરકારનો સહયોગ મેળવવા વડાપ્રધાન સમક્ષ પ્રસ્તાવ કરવાની તૈયારી પણ કરી દેવાઈ
સદીઓ જૂનું પાટણનું સહસ્ત્ર લિંગ તળાવ ધીમે ધીમે નામશેષ બની
રહ્યું છે ત્યારે હાલના સહસ્ત્રલિંગ તળાવ ફરતે એક સહસ્ત્ર શિવલિંગ સ્થાપના કરીને આ
ઐતિહાસિક સ્થાપત્યને સમગ્ર દેશનું વિશાળ અને એકમાત્ર શિવ તીર્થધામ બનાવવાનો વિચાર
મૂર્ત સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. આ માત્ર કલ્પના નથી પરંતુ તે માટેની કવાયત
ચાલી રહી છે. આ માટે કેન્દ્રિય પુરાતત્વ વિભાગ અને ભારત સરકારનો સહયોગ મેળવવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પ્રસ્તાવ કરવાની તૈયારી પણ કરી દેવામાં આવી છે.
રવિવારે કોરોના સંક્રમણગાળા પછી ચર્ચા પણ કરી હતી.
ઐતિહાસિક સહસ્ત્રલિંગ તળાવની ફરતે ચક્રવર્તી પ્રતાપી
મહારાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા 1000 શિવમંદિરો નિર્મિત કરવામાં આવ્યા હતા. તેમાં એક સાથે આરતી
ઘંટનાદ થતો હતો. આ માત્ર સ્મૃતિ જ રહી છે. વર્તમાનમાં આવા મંદિર હયાત નથી પરંતુ
ઇતિહાસના ગ્રંથો અને પુસ્તકોમાં તેનું વર્ણન કરવામાં આવેલું છે. તેને ધ્યાને લઇ
પાટણના સામાજિક કાર્યકરો યતીનભાઈ ગાંધી અને દર્શકભાઈ ત્રિવેદી સહિત કેટલાક
મિત્રોના ગ્રુપ દ્વારા આ માટે પ્રયાસ થઇ રહ્યા છે. એડવોકેટ દર્શક ભાઈ ત્રિવેદીના
જણાવ્યા મુજબ કેન્દ્રિય પુરાતત્વ વિભાગની સંમતિથી અને સહકારથી એક સહસ્ત્ર શિવલિંગ
સ્થાપિત કરવા અમારુ ગૃપ કટીબધ્ધ છે.
કેવા હશે સહસ્ત્રલિંગ મંદિર?
જે પ્રમાણે
બગવાડા દરવાજા નજીક પાટણ નરેશ મહારાજા સિદ્ધરાજ જયસિંહની છત્રી બનાવવામાં આવી છે
તેવી ચારે બાજુથી નાની ખુલ્લી છત્રી સમાન મંદિર બનાવી તેમાં દિવ્ય શિવલિંગ
સ્થાપવાનું અમારું પ્રથમ આયોજન છે.સહસ્ત્ર શિવલિંગ તીર્થ બનાવવા માટે તમામ
નાની-મોટી જ્ઞાતિઓના સહકારથી આ કામ કરીશું અમારી પાસે કેટલાક દાતાઓ પણ છે.
પુરાતન સ્થાપત્ય તીર્થધામ બની
રહેશે
ઐતિહાસિક
સ્થાપત્ય ને યથાવત રાખીને તેની આસપાસ નવીન એક સહસ્ત્ર શિવલિંગ સ્થાપિત કરવા માં
આવશે જેથી પુરાતન વારસો પણ જળવાઈ રહેશે તેની સારસંભાળ પણ લેવાશે અને મંદિરોમાં
પૂજા આરતી પણ કરવામાં આવશે એટલે આ પવિત્ર તીર્થધામ પણ બની રહેશે.હાલમાં ઐતિહાસિક
સરોવરના રુદ્ર કૂપ ,નહેર, ગરનાળા વગેરે હયાત છે.