• Home
  • News
  • 'ભાજપને જાહેર નોટિસ':વિસનગરનાં 24 ગામમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ભાજપને પ્રવેશબંધી, કાલે અર્બુદાધામ બાસણામાં 50 હજારથી વધુ જનમેદની ઊમટશે
post

અર્બુદા ધામ બાસણા ખાતે આવતીકાલે મહાસંમેલન યોજાશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-21 19:25:39

વિસનગર તાલુકાનાં ગામડાઓમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં ગામોગામ અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવવામાં આવ્યાં છે. જેમાં અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરતાં અર્બુદા સેના દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેને લઇ વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપને પ્રવેશબંધીનાં બેનરો લગાવ્યાં છે. તેમજ વિપુલ ચૌધરીના સમર્થનમાં બાસણા અર્બુદા ધામ ખાતે સદભાવના યજ્ઞ તેમજ મહાસંમેલન યોજાશે. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ચૌધરી સમાજ ઉપસ્થિત રહી સમાજ શક્તિનું દર્શન કરાવશે.

ભાજપના કોઈપણ નેતા, મંત્રી કે આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં
જેમાં અર્બુદા સેના વિસનગર તાલુકા પ્રમુખના જણાવ્યા અનુસાર વિસનગર તાલુકાનાં 24 ગામોમાં ભાજપ પ્રવેશબંધીનાં બેનરો લગાવામાં આવ્યાં છે. જેમાં જ્યાં સુધી અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરીને મુક્ત કરવામાં આવશે નહીં ત્યાં સુધી ભાજપના કોઈપણ નેતા, મંત્રી કે આગેવાનને ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવું દરેક ગામના અર્બુદા સેના તથા આંજણા ચૌધરી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વિસનગરનાં 24 જેટલાં ગામોમાં ભાજપને પ્રવેશબંધીનાં બોર્ડ લાગ્યાં
વિસનગર તાલુકાના દઢિયાળ, મગરોડા, ખરવડા, બાસણા, ચિત્રોડા, ચિત્રોડીપુરા, મેઘા અલિયાસણા, ગુંજાળા, તરભ, ખંડોસણ, કાજી અલિયાસણા, પાલડી, કિયાદર, છોગાળા, ગુંજા, ઉદલપુર, કામલપુર (ગો), રામપુરા (દ), રાવળાપુરા, રામપુરા (લા), ખદલપુર, બાકરપુર, રંગાકુઈ તેમજ રંડાલા ગામે અર્બુદા સેના દ્વારા ભાજપને પ્રવેશબંધીનાં બોર્ડ લગાવવામાં આવ્યાં છે.

'ગમે તે કરીને અમે વિપુલ ચૌધરીને છોડાવીશું'
આ અંગે ગુંજા ગામના આંજણા ચૌધરી સમાજના લોકોએ જણાવ્યું હતું કે, અમારા વિપુલભાઈનો કોઈ વાંકગુનો નથી. એમને ખોટા કેસમાં સંડોવાઈને ખોટી રીતે જેલમાં પૂર્યાં છે. એના માટે ગમે તે કરીને અમે છૂટા કરાવીશું. ત્યારે આમારા કોઈ પણ ભાજપનો આગેવાન કે નેતા આવે તો અમારા ચૌધરીનાં ગામોમાં પ્રવેશ કરવા દેવાનો નથી. જ્યાં સુધી વિપુલભાઈને છોડવામાં આવશે નહીં ત્યાં સુધી વિરોધ કરીશું. કોઈ ભાજપનો કાર્યકર આવશે તો અમે પેસવા નહીં દઈએ. કોઈએ આવવાનું નહીં અને કોઈ આવશે તો અમે ધોકાબાજી કરીશું. અમારો આંજણા સમાજ એક છે અને એક રહેવાનો છે. જેમાં આવતીકાલે અર્બુદા માતાનો યજ્ઞ યોજાશે અને ચૌધરી સમાજની 50 હજારથી વધારે જનમેદની ઊમટી પડશે. અમે કોઈ પણ હદે અમારા નેતાને છોડાવીશું.

અર્બુદા ધામ બાસણા ખાતે આવતીકાલે મહાસંમેલન યોજાશે
વિસનગર તાલુકાના બાસણા ગામે અર્બુદા ધામમાં આવતી કાલ તારીખ 22/09/2022 ના રોજ સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં 50 હજારથી પણ વધુની જનમેદની ઊમટી પડશે એવું જણાવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post