પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વાયનાડને ભાઈની ખોટનો અહેસાસ નહીં થવા દઉં
નવી
દિલ્લી : કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે
અને રાયબરેલીથી સાંસદ રહેશે. પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. સોમવારે
કોંગ્રેસની 2 કલાકની બેઠક બાદ આ નિર્ણય
લેવામાં આવ્યો હતો. રાહુલે પરિણામના દિવસે (4 જૂન) પ્રથમ પ્રેસ-કોન્ફરન્સમાં પણ આનો સંકેત આપ્યો હતો. તેમણે યુપીનો વિશેષ
આભાર વ્યક્ત કર્યો હતો, પરંતુ 12
જૂને જ્યારે રાહુલ મતદારોનો આભાર માનવા માટે વાયનાડ
આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું- હું મૂંઝવણમાં છું. મારે કઈ બેઠક રાખવી જોઈએ અને
કઈ બેઠક છોડી દેવી જોઈએ? હું આશા રાખું છું કે હું જે
પણ નિર્ણય લઈશ, બધા એનાથી ખુશ થશે.
અમેઠીના સાંસદે કહ્યું- રાહુલે રાયબરેલી બેઠક રાખવી જોઈએ
અમેઠીના કોંગ્રેસના સાંસદ કેએલ શર્માએ કહ્યું- મારો
મત છે કે તેમણે (રાહુલ ગાંધી) રાયબરેલીની બેઠક પોતાની પાસે રાખવી જોઈએ. તેમનાં
પિતા અને માતા બંને અહીંથી ચૂંટણી લડ્યાં હતાં. રાહુલ ગાંધી સમગ્ર ભારતમાંથી
ચૂંટણી લડી શક્યા હોત, પરંતુ લોકશાહીમાં વ્યક્તિ પાસે
એક જ બેઠક રહી શકે છે.
શું છે નિયમ?
બંધારણ હેઠળ કોઈ વ્યક્તિ એકસાથે સંસદનાં બંને ગૃહો
અથવા સંસદ અને રાજ્ય વિધાનસભાનો સભ્ય ન હોઈ શકે તેમજ તે એક ગૃહમાં એક કરતાં વધુ
બેઠકનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. બંધારણની કલમ 101 (1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 68 (1) હેઠળ,
જો કોઈ જનપ્રતિનિધિ બે બેઠક પરથી ચૂંટણી જીતે છે,
તો તેણે ચૂંટણી પરિણામ જાહેર થયાના 14
દિવસની અંદર એક બેઠક ખાલી કરવાની રહેશે. જો તે કોઈ એક
બેઠક ન છોડે તો તેની બંને બેઠક ખાલી થઈ જાય છે.