• Home
  • News
  • સ્પેનમાં રેસ્ટોરાંની છત અચાનક ધરાશાયી થઈ, 4 લોકોનાં મોત, 27 લોકો ઈજાગ્રસ્ત
post

આ સ્થળ 750 કિમી દૂર એક ટાપુ પર છે, PMએ સ્થાનિક લોકોની મદદ માંગી

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-24 12:12:07

સ્પેન: મજોરકા ટાપુ પર ગુરુવારે (23 મે) મોડી રાત્રે એક રેસ્ટોરન્ટની છત ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત થયાં અને 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયાં. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બીબીસીના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગ્યે) બની હતી. સ્પેન અને મજોરકા ટાપુ વચ્ચેનું અંતર અંદાજે 750 કિલોમીટર છે. પોલીસના જણાવ્યા અનુસાર, રેસ્ટોરન્ટ ત્રણ માળની હતી, જેનો એક થાંભલો તૂટી પડ્યો હતો, જેના કારણે છતનો એક ભાગ નીચે પડી ગયો હતો. બચાવ દળનું કહેવું છે કે કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.


મજોરકા આઇલેન્ડ એક ફેમસ પિકનિક સ્થળ છે
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે તેઓ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છે. પેડ્રોએ સ્થાનિક લોકોને મદદ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે અમારી સંવેદના છે. અમે ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. મજોકરા આઇલેન્ડ યુરોપિયન પ્રવાસીઓમાં એક ખૂબ જ પ્રખ્યાત પિકનિક સ્થળ છે, જ્યાં હજારો લોકો રજાઓ ગાળવા જાય છે. ઘટના સમયે રેસ્ટોરન્ટમાં ઘણી ભીડ હતી. મજોરકા ટાપુના ચીફ માર્ગા પ્રોહેન્સે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઘટના પહેલા લોકો એક જ છત પર ડાન્સ કરી રહ્યા હતા.