પ્રદેશ પ્રમુખ દ્વારા ધારાસભ્ય કેતન ઇનામદારની માંગણીઓ પૂરી કરવા હૈયાધારણ અપાઇ
વડોદરા: પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુ વાઘાણી સાથે વડોદરા સરકીટ હાઉસમાં મેરેથોન બેઠક યોજાયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપેલું રાજીનામું પરત ખેંચી લીધું છે. બુધવારે બપોરે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિકાસ કામો થતાં ન હોવાનું કારણ આગળ ધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
સાવલી નગર પાલિકાના રૂ.
46 લાખના બાકી લાઇટ બીલ અંગે વિવાદ થયો હતો
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નારાજ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સરકીટ હાઉસમાં ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, કેતન ઇનામદારે તાલુકા અને જિલ્લામાં સભ્ય પદે હતા ત્યારે પણ સારું કામ કર્યું છે. હવે તેઓ ધારાસભ્ય પદે પણ સાવલી તાલુકામાં સારું કામ કરી રહ્યા છે. પરંતુ, સાવલી નગર પાલિકાનું રૂપિયા 46 લાખ લાઇટ બીલ બાકી હતું. જે લાઇટ બીલ ન કાપવા બાબતે મધ્ય ગુજરાત વીજ કંપનીના એમ.ડી.એ યોગ્ય જવાબ ન આપતા કેતનભાઇને નારાજ થઇને વિધાન સભા અધ્યક્ષને ઇમેઇલથી રાજીનામું મોકલ્યું હતું. તેઓએ રાજીનામું આપ્યા બાદ હું સતત તેઓના સંપર્કમાં હતો. પરંતુ, હું તેમની સાથે રૂબરું ચર્ચા કરવા માંગતો હતો. અને આજે હું વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીની શુભપ્રસંગમાં આવવાનું હતું. આજે મેં તેઓ સાથે લંબાણ પૂર્વક ચર્ચા કરીને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેઓના પ્રશ્નોનું સમાધાન થતાં તેઓએ અધ્યક્ષને મોકલાવેલ રાજીનામું પરત ખેંચી લેશે.
સાવલીમાં ઇ.એસ.આઇ.ની હોસ્પિટલ બનશે
ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, સાવલી નગર પાલિકાનું રૂપિયા 46 લાખ બીલ બાકી હતું. મારા નગરમાં અંધારપટ ન છવાઇ જાય તે માટે બીલ ન કાપવા માટે રજૂઆત કરી હતી. પરંતુ, રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા મેં રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત મંજુસર જીઆઇડીસીમાં 10 હજાર કર્મચારીઓ નોકરી કરે છે. તેઓ માટે સાવલીમાં ઇ.એસ.આઇ.ની હોસ્પિટલ બનાવવા સહિતના મારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રદેશ પ્રમુખે હૈયાધારણ આપતા મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.